અમિત શાહ 30 જૂને આવશે અમદાવાદ, રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ 30 જૂને ગુજરાત આવવાના છે. 1 જુલાઇએ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે અને સપરિવાર મંગળા આરતીમાં ભાગ લેશે.
ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને પગલે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં પ્રવાસ વધી ગયા છે તેમાં પણ ભાજપના (BJP) નેતાઓ સૌથી વધુ ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) અવારનવાર ગુજરાતના (Gujarat) મુલાકાતે આવવા લાગ્યા છે. ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 30 જૂને ગુજરાત આવવાના છે. 1 જુલાઇએ રથયાત્રાના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કરશે. જે પછી વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો કરશે.ે
જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લેશે અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે 30 જૂને સાંજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવશે. 1 જુલાઇએ રથયાત્રાના દિવસે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે. તેઓ રથયાત્રાના દિવસે એટલે કે 1 જુલાઇએ સવારે 4 વાગે પરંપરાગત રીતે મંગળા આરતીના સમયે પહોંચશે અને પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં જોડાશે.
સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે
રથયાત્રાના દિવસે સવારે 9 વાગે અમિત શાહ કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં જ તેઓ 750 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરશે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે હાજર રહેશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે અને ત્યાં જ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.
આ પહેલા કેવડિયામાં ફોરેન્સિક સાયન્સની કોન્ફરન્સમાં જોડાયા હતા
મહત્વનું છે કે આ પહેલા નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયા (Kevadiya) ટેન્ટસિટી (Tan city) માં બે દિવસની ફોરેન્સિક સાયન્સની કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં દેશમાં ફોરેન્સિક લેબને કેવી રીતે અદ્યતન બનાવાય તે મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. નવી ટેકનોલોજીથી ગુના કઈ રીતે ઉકેલી શકાય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતો પર પણ મુખ્ય ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે શાળા કોલેજમાં વિષય તરીકે સામેલ કરવાની પણ વાત થઈ હતી. દેશના રાજયકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રા, 13 સાંસદો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.