Gujarat Assembly Election 2022 : ગુજરાત કોંગ્રેસની યુવા નેતાઓને લઈને બેધારી નીતિ, તારશે કે ડૂબાડશે ?
ગુજરાત કોંગ્રેસમાં યુવા ચહેરાઓની વાત કરીએ તો હાર્દિક પટેલ(Hardik Patel) પાર્ટીનો યુવા ચહેરો કહી શકાય, સાથે પાર્ટીમાં ન જોડાયેલા પણ વિચારધારામાં માનનારા જીગ્નેશ મેવાણી પણ યુવા ચહેરો પાર્ટીમાં છે. કોંગ્રેસ પાર્ટીમાં બીજી કેડર ઉભી કરવાની વાત ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે
ગુજરાત(Gujarat) કોંગ્રેસ(Congress) માટે 2022 વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી ખૂબ જ મહત્વની છે. પરંતુ એક પછી એક સિનિયર ધારાસભ્યો અને નેતાઓની નારાજગી કોંગ્રેસને સત્તાથી દૂર લઈ જતી આપણે ભૂતકાળમાં પણ જોઈ છે અને આવનારા દિવસોમાં પણ એવી જ સ્થિતિ થાય તો નવાઈ નહીં. જેમાં જુના જોગીઓ જે રણનીતિકાર તરીકે પણ માની શકાય પરંતુ એમના શાસનમાં કોંગ્રેસ સત્તાથી દૂર રહી એ પણ સત્ય છે. એવામાં નવા લોકો કે ચહેરાઓ પાર્ટી સાથે જોડાતા નથી એ બાબત પણ 2017 પહેલાં ગુજરાતે જોઈ છે. 2015 થી શરૂ થયેલા પાટીદાર આંદોલન બાદ હાર્દિક પટેલ પાર્ટી સાથે જોડાયા અને અલ્પેશ ઠાકોર પણ યુવા ચહેરા તરીકે કોંગ્રેસનો ચહેરો બન્યા. સંજોગોવશાત અલ્પેશ ઠાકોરે નારાજગીના સુર બતાવીને રાહુલ ગાંધી તરફ ઈશારો ચીંધીને પાર્ટીને અલવિદા કહી અને ભાજપ સાથે જોડાયા. આજે કોંગ્રેસ પાર્ટી મજબૂત છે કહેનારા સિનિયર નેતાઓ ફરીથી યુવા નેતા હાર્દિક પટેલની નારાજગીને લઈને ચર્ચામાં છે.
કોંગ્રેસ પાર્ટીમાં બીજી કેડર ઉભી કરવાની વાત ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે
યુવા ચહેરાઓની વાત કરીએ તો હાર્દિક પટેલ પાર્ટીનો યુવા ચહેરો કહી શકાય, સાથે પાર્ટીમાં ન જોડાયેલા પણ વિચારધારામાં માનનારા જીગ્નેશ મેવાણી પણ યુવા ચહેરો પાર્ટીમાં છે. કોંગ્રેસ પાર્ટીમાં બીજી કેડર ઉભી કરવાની વાત ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે, પણ ક્યારેક જી 23 તો ક્યારેક યુવા નેતાઓની પાર્ટીમાં નારાજગી કોંગ્રેસને ભારે પડતી આવી છે. આજે પાર્ટીમાં યુવાન ચહેરાઓને જોડવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે, સભ્ય નોંધાણી અભિયાન પણ ચલાવવામાં આવી રહયું છે.
હાર્દિક પટેલ મામલે વિવાદ લાંબો ચાલ્યો
પરંતુ કોંગ્રેસના પરંપરાગત મતદાતાઓ ઓબીસી મતદારોને કોંગ્રેસ જવા દેવા માંગતી નથી. હાર્દિક પટેલની નારાજગીને લઈને પાર્ટીમાં પણ મતભેદો જોવા મળ્યા છે. વાત મહત્વ આપવાને લઈને છે, એક તરફ જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ અંગે કોંગ્રેસ પાર્ટીએ જોરદાર દેખાવો કર્યા અને કાર્યક્રમો પણ આપ્યા. એવામાં બીજી તરફ પાર્ટી હાર્દિક પટેલ મામલે વિવાદ લાંબો ચાલ્યો, જેમાં પરિણામમાં એવું સામે નથી આવ્યું કે હાર્દિક પટેલની નારાજગી દૂર થઈ ગઈ હોય.
હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી હટાવી દીધુ
જેમાં આદિવાસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે પાર્ટીને બાય બાય કહી દીધું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં ક્યાંક ખામી હોય કે ઉણપ હોય એવું સ્પષ્ટ થાય છે. ખુદ હાર્દિક પટેલ પણ સંગઠનમાં એમને પ્રદેશના નેતાઓ દ્વારા મહત્વ ન આપવામાં આવતું હોવાની ફરિયાદ કરતા આવ્યા છે. હજી તો હાલમાં જ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકેની પોસ્ટ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી હટાવી દીધુ
2022 વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલની મહત્વની ભૂમિકા હશે
આ ઉપરથી એક વાત સ્પષ્ટ છે કે હાર્દિક પટેલ હજી પણ નારાજ છે કે પાર્ટી એમને જોઈએ એવું મહત્વ નથી આપી રહી. ત્યારે શું પાર્ટી હવે જીગ્નેશ મેવાણી ઉપર દાવ રમવા માંગે છે, કે 2017 માં પાટીદાર આંદોલન બાદ હવે ઓબીસી અને દલિત સમાજ આધારિત પરંપરાગત મતદારો પણ સાચવવા એટલા જ જરૂરી છે એટલે જીગ્નેશ મેવાણીને મહત્વ અપાઈ રહ્યું છે. એવામાં હાર્દિક પટેલના તેવરના સ્થાને જીગ્નેશ પટેલનું ફ્લાવર નહીં ફાયર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ડો. રઘુ શર્માનું હાર્દિક પટેલની નારાજગી અંગે આપેલા નિવેદનને જોઈએ તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલની મહત્વની ભૂમિકા હશે.
ભાજપના સંગઠન અને કામગીરીના વખાણ પણ કર્યા
પરંતુ હાર્દિક પટેલની સોશ્યલ મીડિયા મુવમેન્ટ બતાવે છે કે હજી શબ્દોમાં મહત્વ સિવાય પાર્ટીએ હાર્દિક પટેલ માટે કઈ વિચાર્યું હોય એવા સંકેત દેખાઈ રહ્યા નથી. હાર્દિક પટેલે એપ્રિલ મહિનામાં હિન્દુ ચહેરા તરીકેની છાપ ઉભી કરી અને ભાજપના સંગઠન અને કામગીરીના વખાણ પણ કર્યા. એવામાં કોંગ્રેસ પાર્ટી જો યુવા નેતા હાર્દિક પટેલને નહીં સાચવે તો પાર્ટીને નુકશાન થઈ શકે.
કદાચ એ જ માટે દિલ્હીથી કોંગ્રેસના નેતા દ્વારા કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ રાજ્યની નેતાગીરીને હાર્દિક પટેલની નારાજગી દૂર કરવાની વાત કરી છે અને હાર્દિક પટેલને પાર્ટીમાં રહેવા જણાવ્યું છે પણ શું પ્રદેશ નેતાગીરી અને હાર્દિક પટેલ વચ્ચેનો ગજગ્રાહ હજી ચરમસીમાએ પહોંચશે કે હાર્દિક પટેલને પાર્ટીમાં મહત્વ મળશે.