મુખ્યમંત્રી આજે 3 જિલ્લાની મુલાકાતે, જાણો કયા કયા વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
સુરેદ્રનગર જિલ્લાના પાટડી, અમદાવાદ જિલ્લાના વિરમગામ અને ભરૂચ જિલ્લાના વાગરા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે.
ગુજરાત (Gujarat) ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આજે 3 જિલ્લાના પ્રવાસે છે. મુખ્યમંત્રી આજે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચ જિલ્લામાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સવારે 10 વાગ્યે સુરેદ્રનગર જિલ્લાના પાટડી ખાતે અંદાજે રૂપિયા 134 કરોડથી વધુના વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 3.64 કરોડના ખર્ચે નિર્મિત સુરજમલજી હાઈસ્કુલનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના 4 સબ સ્ટેશન સહિત રાજ્યના 13 સબ સ્ટેશન લોકાર્પણ કરશે.
ત્યાર બાદ સવારે 11.45 કલાકે મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના વિરમગામ પહોંચશે અને ત્યાં પંચાયત ભવનનું લોકાર્પણ કરશે. વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત સાંજે 4 વાગ્યે ભરૂચ જિલ્લાના વાગરા ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ત્યાં રૂપિયા 881 કરોડના ખર્ચે નવનર્મિત 100 એમ. એલ. ડી. ડીસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ સાથે તેઓ અંકલેશ્વર વિભાગીય કચેરીનું પણ લોકાર્પણ કરશે. ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે નવી ઔધોગિક નીતિ હેઠળ MSME એકમોના સહાય ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.
આ અગાઉ ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીના હેતુસર ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. જેમાં આતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવી આ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીએ આ બેઠકમાં આપ્યું હતું.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, પંચાયત, મહેસૂલ, આરોગ્યના તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી, પ્રવાસન, પ્રાથમિક શિક્ષણ અને રમત-ગમતના અગ્ર સચિવશ્રીઓ સહિત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલજી અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે. રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે. આ વર્ષે યોગ ને પ્રવાસન સાથે જોડીને રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું છે