Ahmedabad: શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં, વિવિધ વિસ્તારોમાં પાણીના નમૂના લેવામાં
રાજ્યમાં મંગળવારે 11 શહેરોમાં ગરમીનો (Heat) પારો 41 ડિગ્રીને પાર થયો છે. રાજ્યમાં સૌથી વધુ ગાંધીનગરમાં (Gandhinagar) 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 43.6 ડિગ્રી તો વડોદરામાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં (Gujarat) ઉનાળાની (Summer) કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ગરમીના પગલે ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં (Ahmedabad) હાલ ગરમી અને પાણીના કારણે થતા રોગચાળાએ માઝા મુકી છે. અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
ઉનાળામાં આકરી ગરમી સાથે જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં ઝાડા-ઉલટીના 150 જેટલા દર્દી નોંધાયા છે. તો કમળાના 23 અને ટાઈફોઈડના 54 જેટલા કેસ નોંધાયા છે. અમદાવાદના કોટ વિસ્તાર અને દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ રોગચાળો વકરતા એક્શનમાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના નમૂના લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત શેરડીના રસ, શિકંજી અને જ્યુસ સેન્ટરોમાં પણ આરોગ્ય તંત્રએ તપાસ હાથ ધરી છે.
એપ્રિલ માસમાં બાળકોમાં ઝાડા અને પાણી ઘટી જવાના કેસોનું પ્રમાણ વધ્યું છે. મે માસની શરુઆતમા પણ આ કેસ વધી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધતા બાળકોના શરીરમાં એકાએક પાણી ઘટી જવાના બનાવ વધી રહ્યા છે. બાળકોના શરીરમાં પાણી ઘટતાં જ દાખલ કરવાની ફરજ પડે છે. કાળઝાળ ગરમીથી બાળકોમાં આવનારા સમયમાં હજુ જોખમ વધે તેવી ડોક્ટરો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદના અનેક વિસ્તારમાં રોગચાળો વકરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શેરડીના રસ, શિકંજી, ઠંડાઈ સહિતના સેન્ટરો પણ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી પાણીજન્ય રોગચાળા પર કાબૂ મેળવી શકાય.
રાજ્યમાં 11 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર
રાજ્યમાં મંગળવારે 11 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો છે. રાજ્યમાં સૌથી વધુ ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 43.6 ડિગ્રી તો વડોદરામાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાટણમાં 43 ડિગ્રી ભૂજમાં 41.2 અને કંડલામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટમાં 42.7 ડિગ્રી, જૂનાગઢમાં 42 ડિગ્રી, અમરેલીમાં 42.6 ડિગ્રી અને ભાવનગરમાં 41.9 ડિગ્રી મહતમ તાપમાન અનુભવાયું હતું. આગામી બે દિવસ ગરમીનો પારો ઉંચો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બે દિવસ બાદ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.
બીજી તરફ દેશમાં ગરમીને કારણે વધી રહેલા લૂના કેસને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે. જેમાં લોકોને લૂથી બચાવ અને લૂ લાગવાની સ્થિતિમાં શું કરવું તે અંગે માહિતી અપાઇ છે. સાથે જ રાજ્ય સરકારોને લૂના દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરવા સૂચન કર્યું છે.