
દેશમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. કાળઝાળ ગરમીના કારણે પાણીની ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ છે. રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છ જેવા કેટલાય વિસ્તારો છે, જ્યાં દરવર્ષે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે એક ગુજરાતીએ એક એવું ડિવાઈસ બનાવ્યું છે, જે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને પાણીના સ્તરને ઉપર લાવવામાં મદદ કરે છે. પ્લાસ્ટિક એન્જિનિયર અમિત દોશીનું સ્ટાર્ટઅપ NeeRain સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય એવું રેઈન વોટર હાર્વેસ્ટિંગ ડિવાઈસ બનાવે છે. જે બોરવેલ રિચાર્જ કરીને ભૂગર્ભજળના જથ્થા અને ગુણવત્તાને સુધારવામાં મદદ કરે છે. હાલમાં સાત દેશોમાં વેચાતું આ ડિવાઈસ ભારતના જળ સંકટને ઘટાડવામાં મદદ કરી રહ્યું છે. આ ડિવાઈસ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો ? અમિત દોશી નાના હતા એ સમયે અમદાવાદથી આશરે 50 કિમી દૂર આવેલા કલોલમાં રહેતા હતા. 1986નો આ સમયગાળો હતો. ભૂગર્ભજળના સ્તરમાં ધરખમ ઘટાડો થવાને કારણે કલોલમાં બોરવેલ સુકાઈ ગયા હતા. નગરપાલિકા દર ત્રણ દિવસે પાણી આપતી હતી. તેથી અમિત દોશીને તેમના ઘરની નજીકના નળમાંથી...