Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકાએ (Ahmedabad Municipal Corporation) વધુ એક વખત લોકોની આસ્થાને ઠેસ પહોંચે તે પ્રકારની બેદરકારી દાખવી છે. આજે દશામાંનું વ્રત પૂર્ણ થતું હોવાથી ગઈકાલે રાતથી આજે સવાર સુધી વિસર્જન હતું. પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો તરફથી મૂર્તિ વિસર્જનના કુંડ કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતાં લોકો રિવરફ્રન્ટના (riverfront) રસ્તા ઉપર જ મૂર્તિઓ મૂકીને જતા રહ્યા. લોકોએ તો બેદરકારી દાખવી, પરંતુ તંત્રએ તેનાથી પણ મોટી બેદરકારી દાખવી છે.કોર્પોરેશને અગાઉ એવું જાહેરનામું પણ બહાર નહોતું પાડ્યું કે ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવું, જેના કારણે લોકોમાં અસમંજસમાં હતી.
જ્યારે તેઓ નદીએ (Sabarmati river) મૂર્તિ પધરાવવા આવ્યા ત્યારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા ન મળતાં આખરે લોકો રિવરફ્રન્ટ પર જ મૂર્તિઓ મૂકીને જતા રહ્યા હતા. વધુ ખરાબ સ્થિતિ તો ત્યારે જોવા મળી જ્યારે મૂર્તિઓને કચરો ભરેલા ટ્રેક્ટરમાં લઈ જવામાં આવી રહી હતી. દશામાંની મૂર્તિઓની આવી સ્થિતિ જોઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.