Ahmedabad: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, અમદાવાદના યુવાનની દક્ષિણ અમેરિકામાં હત્યા
મૂળ અમદાવાદ (Ahmedabad) મેમનગરમાં રહેતા 41 વર્ષીય યુવાન હિરેન ગજેરા 8 વર્ષથી વિદેશમાં રહેતા અને વેપાર કરતા હતા. તેમનું દક્ષિણ અમેરિકાના ઇકવાડોર દેશના એલ એમ્પાલમે શહેરમાંથી ત્રણ જૂને કેટલાક કોલંબિય ત્રાસવાદીઓએ અપહરણ કર્યું હતુ.
![Ahmedabad: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, અમદાવાદના યુવાનની દક્ષિણ અમેરિકામાં હત્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/06/Murder-of-a-Gujarati-in-US.jpg?w=1280)
Ahmedabad : વિદેશ જવાની ઘેલછા ધરાવતા ભારતીયો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મૂળ અમદાવાદના મેમનગરના એક વ્યક્તિએ દક્ષિણ અમેરિકાના (South America) એલ એમ્પાલ્મે શહેરમાં જીવ ગુમાવ્યો છે. અમદાવાદના હિરેન ગજેરાનું દક્ષણિ અમેરિકામાં અપહરણ થયુ હતુ. અપહરણકર્તાઓએ પરિવાર પાસે ડોલર અથવા ડ્રગ્સની માગણી કરી હતી. અપહરણકર્તાઓએ (Kidnapping) ખંડણીની રકમ લઇ શખ્સની પત્નીને એકલી આવવા શરત મૂકી હતી. કોલંબિયન તરીકેની ઓળખ આપનારા અપહરણકર્તાઓએ શખ્સની હત્યા કરી મૃતદેહને નદીમાં ફેંક્યો હતો. 6 દિવસ બાદ કોહવાયેલી હાલતમાં આ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
હિરેન ગજેરા 8 વર્ષથી વિદેશમાં રહેતા અને વેપાર કરતા
મૂળ અમદાવાદ મેમનગરમાં રહેતા 41 વર્ષીય યુવાન હિરેન ગજેરા 8 વર્ષથી વિદેશમાં રહેતા અને વેપાર કરતા હતા. તેમનું દક્ષિણ અમેરિકાના ઇકવાડોર દેશના એલ એમ્પાલમે શહેરમાંથી ત્રણ જૂને કેટલાક કોલંબિયન ત્રાસવાદીઓએ અપહરણ કર્યું હતુ. અપહરણકારોએ પરિવાર પાસે એક લાખ યુ.એસ. ડૉલર અથવા તો 70 કીલો ડ્રગ્સની માગણી કરી હતી. જે બાદ સમજૂતી થતા 20 હજાર યુ.એસ. ડૉલર નક્કી થયા હતા.
જોકે ખંડણી માગનારે એક ખાસ શરત મૂકી હતી કે, રૂપિયા યુવાનની પત્ની એકલી લઈને આવે તેની સાથે કોઈ ન હોવું જોઈએ. જે વાત પત્નીને સ્વીકારી ન હતી અને પોતે બીમાર હોવાનું જણાવી અન્ય સાથે ખંડણી મોકલવા જણાવ્યું. બાદમાં ખંડણી માગનારનો સંપર્ક ન થતા પરિવારે આખરે પોલીસે ફરિયાદ કરી હતી. બાદમાં 3 દિવસ બાદ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો.
આઠ વર્ષ ગુજરાત પરત આવીને રહ્યા
હિરેનભાઈ ગજેરાએ 2006થી 2014 દરમિયાન એલ એમ્પાલમે શહેરમાં સાગના લાકડાના એક્સપોર્ટનો ધંધો વિકસાવ્યો હતો. ઘણા વર્ષો ત્યાં રહ્યા અને છેલ્લા આઠ વર્ષથી તે અમદાવાદ આવી ગયા હતા. બાદમાં માર્ચ -2022 માં તેઓ ઇકવાડોર પરત ફર્યા હતા. જમવાની અગવડતા પડતી હોવાથી પત્ની જીયાબેન ગજેરા પોતાની 12 વર્ષની દિકરીને દાદા પાસે મેમનગર સ્થિત ઘરે મૂકી ઓગસ્ટ- 2022માં ત્યાં પહોંચ્યા હતાં. તેઓ જુના સરનામે જ રહેતા હતા. જો કે બાદમાં ક્રાઈમ રેશિયો વધતા ગજેરા દંપતીએ રહેઠાણ એલ એમ્પાલમે શહેરથી આશરે 500 કી.મી. દૂર ક્યુએન્કા શહેરમાં શિફ્ટ કર્યુ હતું.
મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થવા એમ્પાલમેમાં ગયા હતા
3 જૂને હિરેન ગજેરા ક્યુએન્કાથી એલ એમ્પાલમેમાં મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થવા પહોંચ્યા હતા. રાત્રે આશરે 9 વાગ્યે હિરેનભાઈ 10 મિનિટ માટે પાર્ટીમાંથી બહાર આવ્યા હતા અને બસ ત્યારે કેટલાક લોકો તેમનું અપહરણ કરી લઈ ગયા હતા. બાદમાં તેઓ પરત ફર્યા ન હતા. તેમનો મોબાઈલ સ્વિચ ઓફ અને ગાડીનું જીપીએસ પણ બંધ આવી રહ્યું હતું.
કોલંબિયન ફોન નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો
ત્રણ જૂને અપહરણ બાદ ચોથી જૂને પત્ની ઉપર અપહરણ કર્તાઓનો કોલંબિયન ફોન નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો અને એક લાખ યુ.એસ. ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સ આપવા જણાવ્યું હતુ. હિરેનભાઈના કેટલાક સગા અને મિત્રો એલ એમ્પાલમે શહેરમાં રહેતા હતા તેમની પાસે જીયાબેને મદદ માગી હતી અને બનાવની જાણ અમદાવાદમાં રહેતા હિરેનભાઈના પિતાને કરી હતી.
6 દિવસ બાદ હિરેન ગજેરાનો મૃતદેહ મળ્યો
આર્થિક સ્થિતિ ઘણી સક્ષમ નહીં હોવાથી અપહરણકારો સાથે ત્રણ દિવસ સુધી સમજૂતી ચાલી હતી. આખરે 20 હજાર યુ.એસ. ડૉલર આપવાનું નક્કી થયું હતું. 24 કલાક સુધી અપહરણકારોએ રૂપિયા કોને અને ક્યાં આપવા તે વિગતો આપી નહોતી અને છેલ્લે મોબાઈલ ઈનેક્ટિવ કરી દીધો હતો. 6 દિવસ બાદ હિરેન ગજેરાનો મૃતદેહ સડેલી હાલતમાં વીન્સી નદીમાંથી મળી આવ્યો હતો. જે પછી પરિવાર દીકરાનો ચહેરો પણ જોઈ શક્યા નહોંતા. અને મૃતદેહનો અંતિમસંસ્કાર પણ ત્યાં જ કરવો પડ્યો હતો.
હિરેન ગજેરાના પિતા ડો. એમ. કે. ગજેરાએ TV9 સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા થોડાક વર્ષોમાં વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષાના પ્રશ્નો ઘણા વધ્યા છે. ભારત સરકારની વિદેશમાં રહેલી એમ્બેસી જોઈએ તેટલી ભારતીય નાગરિકોની સલામતી માટે સક્રીય નથી. ઇકવાડોર સરકાર સમક્ષ પણ રસ દાખવતી નથી. જેથી તેઓએ ભારતના વિદેશ મંત્રાલય ને રસ દાખવવા અપીલ કરી. જેથી તેમના દિકરાના કાતીલ અને તેમના અડ્ડાની ભાળ મળી શકે. અને કાર્યવાહી થઈ શકે. તેમજ જો તેમ થાય તો અન્ય સાથે બનતા આ પ્રકાર ના કિસ્સાઓ પણ અટકાવી શકાય.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો