અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના પ્રતાપે 24 કલાક બાદ રસ્તાઓ પરથી નથી ઓસર્યા પાણી, ગ્રામ્ય વિસ્તારોની હાલત થઈ બદ્દથી પણ બદ્દતર- જુઓ Video

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયુ છે. અમદાવાદમાં આ વખતે ક્યાંય પાણી નહીં ભરાયના તંત્રના દાવાનો ફિયાસ્કો થયો છે અને દર વર્ષની જેમ એ જ વોટરલોગિંગની ઠેકઠેકાણે જોવા મળી છે. જેમા શહેરીજનોને સૌથી વધુ હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે.

| Edited By: | Updated on: Jul 28, 2025 | 9:02 PM

અમદાવાદ શહેર બે દિવસના વરસેલા 4 ઈંચ વરસાદમાં પાણી પાણી થઈ ગયુ છે અને જ્યાં હજુ પણ જોવા મળી રહ્યા છે આફતના પાણી..અમદાવાદના અનેક તાલુકાઓ હજુ પણ જળથી તરબોળ જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયાને 24 કલાક કરતા વધુ સમય થઇ ગયો છે છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. જેના કારણે લોકો ખુબ જ મુશ્કેલી સહન કરવા માટે મજબૂર બન્યા છે.

અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ એવી તો ધબધબાટી બોલાવી કે 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. મોટા ભાગના તાલુકાઓ હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. અમદાવાદના દસક્રોઈ તાલુકામાં એકસામટો એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબકી જતા રોડ-રસ્તાઓ જળમગ્ન બન્યા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અહીં કોઈ વાહનો પણ ચાલી શકે તેવી સ્થિતિ નથી. મોટાભાગે ટ્રેકટરના સહારે અથવા તો પાણીમાં ચાલીને લોકો જતા જોવા મળ્યા છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો થતા અહીંથી પસાર થતા અનેક વાહનચાલકોના વાહનોના પૈડા થંભી ગયા છે. રવિવારે પડેલા વરસાદી પાણી 12 કલાક બાદ પણ ઓસર્યા નથી અને લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.

 

આ તરફ ધોળકામાં પણ વરસાદી કહેર બાદ બરબાદી જોવા મળી રહી છે. ધોળકા-સરખેજ હાઈવે પાસેના ગામોમાં જળબંબાકાર છે. પાણી નિકાલના અભાવને કારણે ગામોમાં પાણી ભરાયા છે. વરસાદ અટક્યો પરંતુ ગામોમાં કમર સુધી પાણી જોવા મળી રહ્યા છે. ચલોડ ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. મંદિર, પંચાયત ઓફિસ, ગામના ચોકમાં ઢીંચણસમા પાણી જોવા મળી રહ્યા છે. અનેક મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને પણ નુકસાન થયું છે. લોકોના ઘરોમાં પામી ભરાતા અનાજ, સામાન બગડી ગયો છે.વ કરિયાણું લેવા જવા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે.

 

બારેજામાં નેશનલ હાઈવેના ઓવરબ્રિજ નીચે પાણી ભરાયા છે. બારેજા અને આસપાસના વિસ્તારમાં હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ નથી થયો. બારેજાથી બારેજડી જતા રોડ પર બે ફૂટ સુધી પાણી ભરાયા છે. દોઢથી બે કિમીના રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી થઇ રહી છે. હાઈવેની નીચેથી ગટરલાઈન મોટી ન કરતા પાણી ભરાતું હોવાનો આક્ષેપ છે. આ વિસ્તારમાં ન માત્ર વરસાદી પાણી પરંતુ ગટરના પાણીનો પણ ભરાવો થયો છે. જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બારેજા નગર પાલિકા સામે સ્થાનિકોમાં આક્રોશ છે. લોકો પાસેથી ટેક્સ વસુલી લેવામાં આવે છે. જો કે સુવિધાઓના નામે તેઓને કંઇ મળતું નથી અને વરસાદમાં અનેક દિવસો સુધી પાણી ભરાયેલા છે. જો કે એવું નથી કે અમદાવાદ ગ્રામ્યની જ હાલત આવી હોય. અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગોતા વિસ્તારમાં વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. પાણીનો નિકાલ ન થતા લોકો ભારે હાલાકી સહન કરવા મજબુર બન્યા છે.

વરસાદી પાણીના નિકાલમાં તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે. આડેધડ અનેક પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યા. જેના કારણે હવે લોકોને જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Input Credit- Narendra Rathod, Jignesh Patel- Ahmedabad

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલની મોટી આગાહી, ત્રણ ઓગસ્ટે ફરી મેઘરાજા બોલાવશે ધબધબાટી અને ગુજરાત થશે તરબોળ- Video