Ahmedabad: સિનિયર કે.જી ના બાળકને વાંચતા ના આવડયું તો શિક્ષિકાએ સોટીથી એવો ફટકાર્યો કે પગમાં પડ્યા સોળ, માર મારનાર શિક્ષિકા સસ્પેન્ડ

Ahmedabad: અમદાવાદમાં 5 વર્ષના સિનિયર કે.જી માં અભ્યાસ કરતા નાના બાળકને વાંચતા ના આવડતા ખાનગી શાળાના શિક્ષિકાએ એવો તો ડંડો ચલાવ્યો કે બાળકને પગમાં નિશાન પડી ગયા. બાળક આખી રાત ઊંઘમાં બબડતો રહયો કે ટીચરે માર્યો અને બાદમાં સમગ્ર મામલો સામે આવ્યો. ચાંદલોડીયાની શક્તિ સ્કૂલમાં બાળકને માર મારનાર શિક્ષિકાને તાત્કાલિક સસ્પેન્ડ કરી સંચાલકે વાલીની માફી માંગી.

| Edited By: | Updated on: Aug 19, 2023 | 8:55 PM

Ahmedabad: ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમ ઝમ’ આ જૂની કહેવતને આધુનિક સમયની શૈક્ષણિક વ્યવસ્થામાં ભુલાવી દેવાઈ છે અને સરકારી સૂચના પણ છે કે કોઈપણ બાળકને માર મારવો નહીં. આમ છતાં કેટલાક શિક્ષકો આ બાબતને ભૂલી નાના બાળકોને ક્રૂરતા પૂર્વક મારતા હોવાની બાબતો સામે આવતી હોય છે.

આવી જ ઘટના અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની શક્તિ સ્કૂલમાં બની. જ્યાં શુક્રવારે કલ્પનાબેન નામના શિક્ષિકાએ સિનિયર કેજીમાં ભણતા નાના બાળકને વાંચતા ના આવડતું હોવાથી માર માર્યો હતો. સોટી થી મારવામાં આવેલ માર એટલો વધારે હતો કે બાળકના બંને પગ પર એના નિશાન રહી ગયા હતા. બાળકની માતા જ્યારે તેનો યુનિફોર્મ બદલી રહ્યા હતા ત્યારે એમના ધ્યાને આવ્યા બાદ સમગ્ર ઘટના સામે આવી અને વાલી શાળાએ પહોંચી સંચાલકોને ધ્યાન દોર્યું.

બાળક રાત્રે પણ ઊંઘમાં બબડતું રહ્યું કે ટીચર ન મારશો

શિક્ષિકાએ બાળકને એટલું તો કેટલું ક્રૂરતા પૂર્વક માર માર્યો હશે કે એને રાત્રે ઊંઘમાં પણ માર્યો હોવાની બાબત સતાવતી હતી. વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે રાત્રે એને તાવ આવી ગયો અને બબડતો રહ્યો કે ટીચરે માર્યો. નાના બાળકને આવડતું ના હોય તો એને પ્રેમ પૂર્વક સમજાવવો જોઈએ. આવી રીતે માર ના મારવો જોઈએ.

વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકા સસ્પેન્ડ

ઘટના ખૂબ ગંભીર હતી વાલીઓ શાળાએ પહોંચ્યા અને શિક્ષિકાને કહેવામાં આવ્યું કે બાળકને આવો માર કેમ મારવામાં આવ્યો! પહેલા તો શિક્ષિકા સામાન્ય માર માર્યો હોવાનું જણાવતા હતા. જોકે સીસીટીવી તપાસતા આખરે શિક્ષિકાએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને કહ્યું કે નાના બાળકને મારવાની મારી ભૂલ થઈ ગઈ.

નાના કુમળા બાળકને માર મારવો ગુનો છે. આ બાબત સારી રીતે જાણી ચૂકેલ શાળાના સંચાલકે પણ ઘટનાને ગંભીરતાથી લઈ સીસીટીવી તપાસ્યા. જેમાં આ શિક્ષિકાએ માત્ર એક બાળક નહીં પરંતુ અન્ય બાળકોને પણ માર માર્યો હોવાનું ધ્યાને આવ્યું.

વાંચતા ન આવડે તો બેરહેમીથી માર મારવો કેટલો વ્યાજબી?

સંચાલકે તાત્કાલિક કાર્યવાહી કરતા બાળકને ક્રૂરતાપૂર્વક માર મારનાર શિક્ષિકા કલ્પનાબેનને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા અને વાલીની માફી માંગી અન્ય શિક્ષકોને સૂચના આપી કે બાળકોને હાથ લગાવવો નહીં. પહેલા ધોરણમાં પ્રવેશ પૂર્વેની પ્રિપ્રાયમરી શાળામાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપવાનું હોય છે. જો કે શાળાઓ દ્વારા ભૂલકાઓને વાંચતા ન આવડે તો આ પ્રકારે અત્યાચાર ગુજારાય તે દરેક વાલીઓ માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો:  Breaking News: હવે ટ્રાફિક મેમોથી સિંઘમ પણ નહીં બચે, DGPના આદેશ બાદ પોલીસ હેડક્વાર્ટર બહાર સ્પે. ટ્રાફિક ડ્રાઈવ

એકતરફ બાળકોનું બાળપણ ન છીનવાય તે માટે નવી શિક્ષણ પોલિસી અંતર્ગત છ વર્ષ પૂર્ણ થાય પછી જ બાળકને ધોરણ 1માં પ્રવેશ આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ધોરણ 1ના અભ્યાસક્રમમાં પણ બાળકોને પ્રાયમરી લેવલનું વાંચતા-લખતા શીખવવાનો જ અભ્યાક્રમ છે. 6 વર્ષના બાળકનો બોદ્ધિક વિકાસ પણ થઈ ગયો હોય છે અને વાંચવા લખવાનું તે ઝડપથી સમજી શકે છે. ત્યારે સિનિયર કેજીના બાળક પર વાંચવાનું દબાણ લાવવુ અને કદાચ બાળક ન શીખે તો તેને બેરહેમીથી માર મારવો કેટલે અંશે વ્યાજબી છે, આ માર સહન કર્યા બાદ આ કુમળા માનસ પર શાળા માટે જે ગ્રંથી બંધાઈ જશે એ લાખ સમજાવવા છતા ક્યારેય મિટાવી નહીં શકાય.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:31 pm, Sat, 19 August 23