Ahmedabad: માસ પ્રમોશન માટે વિરોધ કરતા રિપીટર વિદ્યાર્થીઓની ગાંધી આશ્રમથી અટકાયત
ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માસ પ્રમોશન માટે વિરોધ કરતા રિપીટર વિદ્યાર્થીઓની ગાંધી આશ્રમથી અટકાયત કરવામાં આવી છે.
Ahmedabad: આગામી 15 જુલાઈથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર અને એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટીકીટ પણ આપી દેવામાં આવી છે. ત્યારે પરીક્ષા નજીક આવતા રિપીટર વિદ્યાર્થીઓને (Repeater students ) માસ પ્રમોશન (Mass promotion) આપવાની માંગ ઉગ્ર બની છે.
ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે નિર્ણય લેવા આવ્યો છે. પરંતુ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવા રીપીટર વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે. ગાંધી આશ્રમ ખાતે રીપીટર વિદ્યાર્થીઓ એકઠા થયા હતા જેમની રાણીપ પોલીસે અટકાયત કરી છે.
થોડા દિવસ અગાઉ રીપીટર વિદ્યાર્થીઓને ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો. જ્યારે તેમની અટકાયત કરવા આવી હતી. જે બાદ આજે ગાંધી આશ્રમ ખાતે પણ રીપીટર વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. 5 દિવસ બાદ પરીક્ષા યોજાવવાની છે અને વિદ્યાર્થીઓ ગાંધી આશ્રમ ખાતે વિરોધ કરી રહ્યા હતા. સમાનતાના ધોરણે રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
વિરોધ દરમિયાન રાણીપ પોલીસ પહોંચી હતી ત્યારે પોલીસે ગાંધી આશ્રમમાંથી તમામને બહાર કાઢ્યા હતા. બાદમાં કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી જ્યારે અન્ય વિદ્યાર્થીઓને રોડ પર દોડાવ્યા હતા.
રીપીટર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમને સમાનતાના ધોરણે માસ પ્રમોશન મળવું જોઈએ. માસ પ્રમોશન માટે જ અમે વિરોધ કરી રહ્યા છે. અત્યારે અમે ગાંધી આશ્રમ ખાતે ભેગા થયા હતા ત્યારે પોલીસે અમારી અટકાયત કરી છે.અન્ય વિદ્યાર્થીઓને પોલીસે ભગાડી દીધા છે. આજે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને બીજા વિદ્યાર્થીઓ હજુ આવી રહ્યા હતા.