Ahmedabad: ઘરકામ કરતા વૃદ્ધાએ જ મકાનમાં રહેતા વૃદ્ધાની કરી નાખી હત્યા, હત્યાને આત્મહતનામાં ખપાવી દેવાનો રચ્યો કારસો
અમદાવાદ શહેરમાં એક વૃદ્ધા એ જ અન્ય વૃદ્ધાની હત્યા કરી અને આ હત્યાને આત્મહત્યા ખપાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હતું.
Ahmedabad: સામાન્ય રીતે પૈસાની લેતીદેતી મામલે વ્યાજખોરો અથવા અન્ય લોકો વચ્ચે બોલાચાલી, મારામારી કે હત્યાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. પંરતુ બે વૃધ્ધાઓ વચ્ચે પૈસાની લેતીદેતી મમાલે હત્યા કરી હોવાની કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં એક વૃદ્ધા એ જ અન્ય વૃદ્ધાની હત્યા કરી અને આ હત્યાને આત્મહત્યા ખપાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હતું.
અમદાવાદ શહેરમાં એક વૃદ્ધ મહિલા એ જ વૃદ્ધ મહિલાને જીવતા સળગાવી દઈને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા તાતાનગરમાં બે દિવસ પહેલા એક વૃદ્ધાનો મૃતદેહ તેમના ઘરના સ્ટોર રૂમ માંથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા વૃદ્ધાને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસને શંકા હતી કે વૃદ્ધા એ આત્મહત્યા નથી કરી પણ હત્યા થઈ છે જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી .
પોલીસે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ દિશામાં તપાસ કરતા વૃદ્ધાની હત્યા થઈ હોવાનુ સામે આવ્યું હતું. જેમાં પોલીસે રંજનબેન પરમાર નામની મહિલાની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, રંજનબેન છેલ્લા ચાર વર્ષથી મૃતક મહિલાના પુત્રવધૂ જેમને પેરાલિસિસ થયેલ હોવાથી તેમની સાર સંભાળ રાખતા હતા. જો કે બનાવના દિવસે રંજનબેન અને મૃતક વૃદ્ધા વચ્ચે પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં રંજનબેને કેરોસીન છાંટી વૃદ્ધાને સળગાવી દીધા હતા અને બાદમાં તે ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસ દરમિયાન મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બંગડી પણ ગાયબ હતી. જેથી પોલીસે આ બાબતે પણ આરોપી રંજનબેનની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે રંજનબેન ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.