Ahmedabad : ગામડાની રોનક દર્શાવતી થીમ પર ગણપતિ, શહેરીજનોને ગ્રામ્ય સંસ્કૃતિથી વાકેફ કરાયા
અમદાવાદ (Ahmeabad) શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ડબગરવાડમાં છેલ્લા 15 વર્ષથી ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2022) પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દર વર્ષે ડબગરવાડ વાસીઓ અલગ અલગ થીમ બનાવીને લોકો સુધી ધાર્મિક સંદેશો પહોંચાડી રહ્યા છે.
ગુજરાતમાં (Gujarat) ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદવાસીઓ (Ahmedabad) ગણેશોત્સવની વિવિધ રૂપે ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ગણપતિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે. તો ક્યાંક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિની પૂજા અર્ચના (Ganesh chaturthi 2022) કરવામાં આવેલી છે. તો હાલના સમયમાં હરણફાળ ગતિએ વિકાસ કરતા શહેરની સામે ગામડાઓની રોનક ગાયબ થઈ રહી છે. જે રોનક પરત લાવવા અને ગામડાઓનો વિકાસ થાય તે હેતુસર અમદાવાદ શહેરમાં વિવિધ પ્રકારની થીમો જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ડબગરવાડમાં છેલ્લા 15 વર્ષથી ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દર વર્ષે ડબગરવાડ વાસીઓ અલગ અલગ થીમ બનાવીને લોકો સુધી ધાર્મિક સંદેશો પહોંચાડી રહ્યા છે. સાથે જ માટીના અને ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવીને પુરસ્કાર પણ મેળવી રહ્યા છે. જે ડબગરવાડ વાસીઓએ આ વર્ષે ગામડું દર્શાવતી થીમ બનાવી છે. જેમાં ગામડા જેવા ઘર ગામડામાં થતી પ્રવૃત્તિઓ જેવી કે પથ્થરમાં લોટ દળવો સહિતની વિવિધ પ્રવૃત્તિઓ બતાવીને શહેરીજનોને ગામડાની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આયોજકોનું માનવુ છે કે, હાલ શહેર વિકાસ કરી રહ્યું છે જેના કારણે લોકો ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે અને ગામડાની રોનક છીનવાઈ રહી છે. જે પરિસ્થિતિ સુધારવા અને ખરેખર ગામડું શું કહેવાય અને ગામડાની મજા શું કહેવાય તે સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે આ થીમ બનાવી હોવાનું જણાવ્યું.
તો બીજી તરફ કાલુપુરમાં આવેલ કવિ દલપતરામ ચોક ખાતે પણ ગામડાની એક થીમ બનાવવામાં આવી છે. દલપતરામ ચોક ખાતે છેલ્લા 14 વર્ષથી ગણેશ પર્વની ઉજવણી કરાય છે. જ્યાં પણ અલગ અલગ થીમ બનાવીને લોકો સુધી ધાર્મિક સામાજિક સંદેશો પહોંચાડે છે. જ્યાં આ વર્ષે આયોજકો દ્વારા ગણપતિને ખેડૂત તરીકે દર્શાવવામાં આવ્યા છે. કેમકે આયોજકોનું માનવું છે કે ખેડૂત જગતનો તાત છે જે ખેડૂતને વધુ વરસાદ પડતા તેમજ ઓછો વરસાદ પડતા પાકને નુકસાન થાય છે. તેમજ ખેડૂત કડી મહેનત કરીને જ્યારે પાક ઉગાડે છે જે બાદ લોકો સુધી પાક પહોંચે છે અને લોકો તેનો આહાર કરી શકે છે અને જીવન જીવી શકે છે. જે ખેડૂતની પરિસ્થિતિને લોકો સુધી પહોંચાડવા માટે આ થીમ તેઓ બનાવી હોવાનું આયોજકો એ જણાવ્યું.
આ બંને થીમ એવી છે કે જે ગામડાઓની અને ખેડૂતની પરિસ્થિતિને દર્શાવે છે. તેમજ ભારતની સંસ્કૃતિને પણ ક્યાંક ઉજાગર કરે છે. જે થીમ બનાવનાર ડબગર વાળ અને દલપતરામ ચોકના આયોજકોએ છેલ્લા કેટલાક વર્ષથી અમદાવાદ શહેરમાં સર્વશ્રેષ્ઠ ગણપતિ અને થીમ બનાવવા પર એવોર્ડ પણ મેળવ્યા છે. અને આ વર્ષે પણ તેઓ એવી જ આશા રાખી રહ્યા છે કે તેઓને સારી થીમ બનાવવા અને માટીના ગણપતિની સ્થાપના કરવા બદલ એવોર્ડ મળે. જેથી તેમના પ્રોત્સાહનમાં વધારો થાય અને તેઓ દર વર્ષે કઈંક અલગ સંદેશો થીમ થકી સારી રીતે પહોંચાડી શકે.