Breaking News : અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટનામાં 8 ના મોત, PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુઃખ, જુઓ Video
અમદાવાદના મહેમુદપુરામાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ અને વિસ્ફોટથી 8 લોકોના મોત થયા છે અને 10 ઇજાગ્રસ્ત છે. ગેરકાયદે ચાલતી આ ફેક્ટરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના મહેમુદપુરા વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલી ભીષણ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગ અને વિસ્ફોટના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ગતરાડ રોડ પર આવેલી આ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થતાં મૃત્યુઆંક વધીને 8 થયો છે. હાલમાં 4 પુરુષ અને 1 મહિલા સહિત પાંચ લોકો સારવાર હેઠળ છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની પણ સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીનું સંચાલન મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ કરતો હતો. અમદાવાદના મેયરે જણાવ્યું છે કે આ ફેક્ટરી ગેરકાયદે રીતે ચલાવવામાં આવી રહી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે સાપરાધ મનુષ્યવધ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં લોકોના મોતના સમાચાર સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. વડાપ્રધાને જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે.
Extremely saddened to hear about the loss of lives due to a mishap at a fireworks factory in Ahmedabad, Gujarat. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the speedy recovery of the injured. The local administration is providing all possible…
— PMO India (@PMOIndia) July 18, 2026
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ (PMNRF) માંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50 હજારની આર્થિક સહાય આપવામાં આવશે.
Extremely saddened to hear about the loss of lives due to a mishap at a fireworks factory in Ahmedabad, Gujarat. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the speedy recovery of the injured. The local administration is providing all possible…
— PMO India (@PMOIndia) July 18, 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ અસરગ્રસ્તોને જરૂરી સારવાર અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને ₹50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
દુર્ઘટના અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ ચાલી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદે રીતે ફેક્ટરી ચલાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર ઘટનાની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીના સેલેસ્ટે પ્રોજેક્ટ મુદ્દે રેરા એક્શનમાં, એક મહિનામાં કાર્યવાહીનું આશ્વાસન
