Ahmedabad : દર શનિવારે વિશ્વભરમાં પાટીદારો મા ઉમિયાની પ્રાર્થના કરશે, સ્નેહમિલન સમારોહમાં કર્યો સંકલ્પ
અમદાવાદના (Ahmedabad) જાસપુરના વિશ્વ ઉમિયાધામ સંકુલમાં સંસ્થા સાથે જોડાયેલા તેમજ હાલમાં USA, કેનેડા, આફ્રિકા, UK અને તેમજ વિશ્વના વિવિધ ખુણામાં રહેતા NRI પાટીદાર પરિવારોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 500 થી વધુ NRI પાટીદાર પરિવારો વિશ્વ ઉમિયાધામ ખાતે આવ્યા હતા.

અમદાવાદના જાસપુરમાં મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે, વિશ્વભરના પાટીદારોનું વૈશ્વિક સંગઠન મા ઉમિયાની આસ્થાના કેન્દ્રબિંદુથી જોડાયેલુ છે. ત્યારે અમદાવાદના જાસપુરના વિશ્વઉમિયાધામ સંકુલમાં સંસ્થા સાથે જોડાયેલા તેમજ હાલમાં USA, કેનેડા, આફ્રિકા, UK અને તેમજ વિશ્વના વિવિધ ખુણામાં રહેતા NRI પાટીદાર પરિવારોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 500 થી વધુ NRI પાટીદાર પરિવારો વિશ્વ ઉમિયાધામ ખાતે આવ્યા હતા. જેમાં દર શનિવારે વિશ્વભરમાં પાટીદારોમા ઉમિયાની પ્રાર્થના અને આરતી કરશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
આવતા વર્ષથી વિશ્વભરના મા ઉમિયાનો પાટોત્સવ ઉજવાશે
વિશેષ રીતે પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યથી મંદિર પરિષરમાં ઈ-ચાર્જિગ પોઈન્ટનું પણ ઉદ્ધાટન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, વિશ્વ ઉમિયાધામ દ્વારા આવતી 21 જાન્યુઆરીથી વિશ્વ ઉમિયાધામ પ્રિમિયર લિગનું પણ આયોજન કરાયું છે. વિશ્વ ઉમિયાધામ ખાતે NRI સ્નેહમિલન અને અભિવાદન સમારોહમાં સંબોધન કરતાં વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, હવેથી દર વર્ષે વિશ્વના તમામ દેશોમાં જ્યાં પાટીદારો વશે છે. ત્યાં મા ઉમિયાનો પાટોત્સવ ઉજવાશે અને હવેથી દર શનિવારે સાંજે 8 થી 9 વાગ્યા સુધી એક સાથે વિશ્વભરમાં પાટીદારો મા ઉમિયાની પ્રાર્થના અને આરતી કરશે.
મોટા નેતાઓ, દિગ્ગજોએ સ્નેહ સંમેલનમાં આપી હાજરી
NRI સ્નેહમિલન સાથે અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કથાકાર જીગ્નેશ દાદા, સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ સહિત વિશ્વ ઉમિયાધામના વિદેશમાં વસતાં દાતા ટ્રસ્ટીઓ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વિશ્વઉમિયાધામ અમેરિકાના કોર્ડિનેટર વી.પી. પટેલ, કેનેડાના કોર્ડિનેટર રજનીકાંતભાઈ પટેલ -યુ.કે., આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ટ્રસ્ટીઓ પણ હાજરી આપી હતી. તમામ NRI પરિવારોએ મા ઉમિયાની પુજા અર્ચના અને મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી.
જર્મન અને ભારતના આર્કિટેક મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરશે
મહત્વનું છે કે જાસપુરમાં 431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરશે. મંદિરનો શિલાન્યાસ ફેબ્રુઆરી 2020માં કરવામાં આવ્યો હતો અને પાંચ વર્ષમાં મંદિરનું નિર્માણ થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.