Ahmedabad: નરોડા રેલ્વે ક્રોસિંગ બ્રિજના નામકરણ મુદ્દે વિવાદ, બે સમાજના લોકો આમને સામને
નરોડા રેલવે સ્ટેશન પાસે દલિત સમાજની વધુ વસ્તી છે જેથી તેઓ ઈચ્છી રહ્યા છે કે બ્રિજનું નામ સંત રોહિદાસ રાખવામાં આવે. જોકે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં બ્રિજનું નામ સદગુરુ સ્વામી ટેઉરામ જાહેર કરાયુ છે અને એરપોર્ટ તરફ સિંધી સમાજની વસ્તી વધુ છે અને તેઓ બ્રિજનું નામ સદગુરુ સ્વામી ટેઉરામજી જ રાખવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
અમદાવાદ (Ahmedabad) માં નરોડા રેલવે સ્ટેશન નજીક ક્રોસિંગ (railway crossing) પાસે થતા ટ્રાફિકની સમસ્યા હલ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા બ્રિજ (bridge) નું નિર્માણ કરવા આવ્યું છે. જે બ્રિજ હજુ શરૂ નથી થયો તે પહેલા તેના નામને લઈને વિવાદ છંછેડાયો છે. એક તરફ લોકો ટ્રાફિકની સમસ્યા અને વધુ પેટ્રોલ ડીઝલના ભાવના કારણે વધુ કિલો મીટર વાહન ચલાવવાને લઈને પરેશાન છે. જે સમસ્યા દૂર કરવા માટે નરોડા રેલવે ક્રોસિંગ પર અમદાવાદ મ્યુનિસિપલ બ્રિજ બનાવવામાં આવ્યો. 4 વર્ષ પહેલાં બ્રિજનું કામ શરૂ કરાયુ. જે બ્રિજ બને 4 મહિના જેટલો સમય વીત્યો છે. જોકે બ્રિજ બનવા છતાં શરૂ ન થતા લોકો નારાજ છે તો બ્રિજ શરૂ થાય તે પહેલા નામ ને લઈને વિવાદ સર્જાયો છે.
કેમ કે નરોડા રેલવે સ્ટેશન પાસે દલિત સમાજની વધુ વસ્તી છે જેથી તેઓ ઈચ્છી રહ્યા છે કે બ્રિજનું નામ સંત રોહિદાસ રાખવામાં આવે. જોકે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં બ્રિજનું નામ સદગુરુ સ્વામી ટેઉરામ જાહેર કરાયુ. જે નામ જાહેર થતા દલિત સમાજ નારાજ થયો અને બ્રિજ પર ધરણાના બોર્ડ સાથે વિરોધ નોંધાવ્યો. જે વિરોધ સાથે બ્રિજની બને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બ્રિજ જલ્દી શરૂ થાય લોકોની સમસ્યા દૂર થાય તેવી માંગ ઉઠી છે.
તો બીજી તરફ એરપોર્ટ તરફ નોબલનગર પાસે આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમ અને સિંધી સમાજના આગેવાનો અને લોકો ની માંગ એવી છે કે તેમનો વિસ્તાર મોટો છે અને વસ્તી વધુ છે અને તેઓ વર્ષોથી ત્યાં રહે છે. તેમજ તેમના વિસ્તારમાં એક રોડનું નામ સદગુરુ સ્વામી ટેઉરામજી રાખવામાં આવ્યું છે. જેથી બ્રિજનું નામ પણ તે જ રાખવામાં આવે.
બીજી બાજુ નામના વિવાદ વચ્ચે લોકોને પડતી સમસ્યા કે જેમાં બ્રિજ શરૂ ન થતા લોકોને નરોડા GIDC થઈ ચિલોડા જવુ પડી રહ્યું છે. તો એરપોર્ટ પણ ત્યાં થી જ જવું પડે છે. તેમજ ત્યાંથી આવતા લોકોને પણ એજ રીતે પસાર થવું પડે છે. જેથી સમય બગડે છે. પેટ્રોલ વધુ વપરાય છે. જેના કારણે લોકોને હાલાકી પડે છે. જેથી 4 મહિનાથી બનીને તૈયાર બ્રિજ શરૂ થાય માટે આજે યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનકો સાથે મળી બ્રિજ શરૂ કરવાનો કાર્યક્રમ પણ રાખ્યો છે. જેને લઈને પણ પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. ત્યારે જોવાનું એ રહે છે કે બ્રિજ આજે જ શરૂ થાય છે કે કેમ અને નવા બ્રિજનું નામ શુ રખાય છે જેથી કોઈ એક સમાજની લાગણી ન દુભાય. કે પછી AMC અન્ય કોઈ રસ્તો કાઢે છે.
યુથ કોંગ્રેસ દ્વારા બ્રિજ ઉદ્ઘાટનની જાહેરાતના પગલે બ્રિજ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. જેમાં યુથ કોંગ્રેસ દ્વારા બ્રિજ શરૂ કરવાનો કાર્યક્રમ થાય તે પહેલાં બ્રિજ પાસે પોલીસ કાફલો ખડકી દેવાયો અને કાર્યકરોની કાર્યક્રમ પહેલા અટકાયત કરી લેવાઈ છે. જેમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ કાર્યક્રમમાં હાજર રહ્યા. જેથી વિપક્ષ નેતા અને કાર્યકરોની અટકાયત કરાઈ છે. કાર્યક્રમની મંજૂરી નહિ હોવાથી અટકાયત કરાઈ છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે સતાપક્ષ પર આક્ષેપ લગાવ્યા કે 80 કરોડના ખર્ચે બ્રિજ બનીને તૈયાર છે અને લોકોને હાલાકી પડી રહી છે તો ઓપનિંગ માટે કોની રાહ જોવાઇ રહી છે. આ સાથે વિપક્ષે બ્રિજ ખોલવા માટે માંગ કરી છે અને જો બ્રિજ શરૂ નહીં થાય તો કાર્યક્રમ યથાવત રાખવા પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.