અમદાવાદ જિલ્લાના 23 અમૃત સરોવર ખાતે 15મી ઓગષ્ટે યોજાશે ધ્વજવંદન કાર્યક્રમ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી
Azadi Ka Amrit Mohotsav: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 23 અમૃત સરોવર ખાતે 15મી ઓગષ્ટે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે, જેમા સાણંદના 3, બાવળાના 3, દશ્ક્રોઈના 4, માંડલના 3, વિરમગામના 3, દેત્રોજ-રામપુરાના 3, ધોળકાના 3 સહિતના સરોવરો ખાતે ધ્વજવંદન થશે.
અમદાવાદ (Ahmedabad)જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વે (Indipendence Day) જિલ્લાના 23 અમૃત સરોવર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ 23 અમૃત સરોવર પૈકી 16 સિંચાઈ વિભાગ સ્ટેટ હેઠળ અને 07 સિંચાઈ વિભાગ પંચાયત હેઠળ નિર્માણ પામેલા અમૃત સરોવર છે, એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઈલાબેન ચૌહાણ એ જણાવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઈલાબેન ચૌહાણે જણાવ્યું છે કે ”અમદાવાદ જિલ્લામાં કુલ 79 અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (Azadi Ka Amrit Mohotsav) તા. 15મી ઓગષ્ટ 2022ના રોજ જિલ્લાના 79 પૈકીના 23 અમૃત સરોવર ખાતે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઘ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.”
8 તાલુકાના 23 ગામના 23 સરોવરનો કરાયો છે સમાવેશ
આ 23 અમૃત સરોવરમાં સાણંદના 3, બાવળાના ૩, દશ્ક્રોઈના 4, માંડલના 3, વિરમગામના 3, દેત્રોજ-રામપુરાના 3, ધોળકાના 3 અને ધંધુકાના 1 સરોવરની પસંદગી કરવામાં આવી છે. સાણંદ તાલુકાના પીંપણ, ગીબપુરા, ઈયાવા ગામના સરોવરોનો સમાવેશ કરાયો છે. જ્યારે બાવળા તાલુકાના કેશરડી, દહેગામડા, શિયાળ ગામના તળાવોનો સમાવેશ કરાયો છે તો દશ્ક્રોઈ તાલુકાના નાઝ, બડોદરા, ઉંદ્રેલ, લીલાપુર ગામના સરોવરોનો સમાવેશ કરાયો છે. જ્યારે માંડલ તાલુકાના નાયકપુર, નાના ઉભાડા, ઢેઢાસણા ગામન તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ તરફ દેત્રોજ-રામપુરા તાલુકાના કુકવાવ અને ગુંજાલા ગામના બે તળાવોનો સમાવેશ કરાયો છે. ધોળકા તાલુકાના નાનીબોરૂ, વાલથેરા, ખાનપુર ગામના તળાવોનો સમાવેશ કરાયો છે તથા ધંધુકા તાલુકાના ધોળી ગામના તળાવ ખાતે ખાતે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
વૃક્ષારોપણ, બેસવા માટેની સુવિધા ઉભી કરાશે
આ અમૃત સરોવરોની આસાપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમજ અહીં બેસવા માટે બાંકડા અને બેન્ચની સુવિધા લોકભાગીદારી અનો લોકોસહયોગથી ઉભી કરવામાં આવશે. 15મી ઓગષ્ટે અહીં થનારા ધ્વજવંદન કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, તેમના પરિવારજનો, તમામ ગામલોકો, ગામના તમામ આગેવાનો સહિતના નાના-મોટા સહુ મોટી સંખ્યામાં સહભાગી બને તે પ્રકારનું સુચારુ આયોજન કરવામાં આવ્યુ છે.
હર ઘર તિરંગા અભિયાનનું પણ આયોજન
આપને જણાવી દઈએ કે દેશમાં અને રાજ્યમાં આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વનીઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. આ પર્વમાં ઉત્સાહ પૂર્વક સામેલ થવા ગુજરાત પણ તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ઉજવણી માટે પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.