ગુજરાતમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન, 7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમ
કેન્દ્ર સરકારે (Central Govt) હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. આ પર્વમાં ઉત્સાહ પૂર્વક સામેલ થવા ગુજરાત પણ તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ઉજવણી માટે પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં (Gujarat) આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની (Independence Day) ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઇ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે (Central Govt) હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. આ પર્વમાં ઉત્સાહ પૂર્વક સામેલ થવા ગુજરાત પણ તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ઉજવણી માટે પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અત્યારે રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે કે હર ઘર તિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઇ કહાની જોડાયેલી હોય.
7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમ
1. ઠક્કર બાપા, ભાવનગર: ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા.
2. ડૉ. ઉષા મહેતા, સુરત: તેઓ ગાંધીવાદી હતાં અને સવિનય કાનૂન ભંગ ચળવળ અને ભારત છોડો આંદોલનમાં સહભાગી રહ્યા હતાં. સ્વતંત્રતા માટે ઘણી વખત તેઓ જેલમાં પણ રહ્યા હતાં.
3. ઐતિહાસિક સ્થળો, અમદાવાદ: અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
4. કિર્તી મંદિર, પોરબંદર: ગાંધીજીનું આ પૈતૃક ઘર છે જ્યાં તેમનો જન્મ થયો હતો. અહીં ગાંધીજીના જીવન અંગે જણાવવા માટે સ્મારકનું નિર્માણ કરવામા આવ્યું છે.
5. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા): ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી શ્રી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે.
6. દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી: દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે.
7. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ: શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.
1 કરોડ તિરંગા લહેરાવવામાં આવશે
ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ તિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ તિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.