Ahmedabad: 15 દિવસથી કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાનું કર્યું બંધ, નરોડાના હંસપુરા ગામના લોકો પરેશાન
નરોડા પાસે આવેલા હંસપુરા ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરનારને કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. હંસપુરાના સ્મશાનમાં થયેલી અંતિમવિધિ કોર્પોરેશને માન્ય ન રાખી મૃતકોની ડેથ સર્ટિફિકેટ નથી આપ્યા.
Ahmedabad: નરોડા પાસે આવેલા હંસપુરા ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરનારને કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. હંસપુરાના સ્મશાનમાં થયેલી અંતિમવિધિ કોર્પોરેશને માન્ય ન રાખી મૃતકોની ડેથ સર્ટિફિકેટ નથી આપ્યા. છેલ્લા 15 દિવસથી કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દીધુ છે. ડેથ સર્ટિફિકેટ નહીં આપતા મૃતકોના પરિવાર જનોને અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે.
નરોડાના હંસપુરા ગામના લોકોનો કોર્પોરેશનના અધિકારીઓનો વિચિત્ર અનુભવ થઈ રહ્યો છે. ગામના લોકો ગામના સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરે તો કોર્પોરેશન મૃતકને ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડે છે. સ્મશાનમાં કરેલી અંતિમવિધિ કોર્પોરેશન માન્ય રાખતું નથી. છેલ્લા 15 દિવસથી ગામના સ્મશાનમાં જે લોકોની અંતિમવિધિ કરવામાં આવી તેમને ડેથ સર્ટિફિકેટ આપવાની કોર્પોરેશને ના પાડી દીધી છે.
ગામના માજી સરપંચ બુધાજી ઠાકોરનું 5 મેના રોજ અવસાન થતાં ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમના પૌત્ર સતીશ ઠાકોર ડેથ સર્ટિફિકેટ લેવા ગયા તો કોર્પોરેશને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી. એવી જ રીતે ગામમાં રહેતા જીગ્નેશ ઠાકોરના દાદી ઈશાબેન ઠાકોરનું 6 મેના રોજ અવસાન થતાં ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી.
જીગ્નેશને પણ કોર્પોરેશન દ્વારા તેમના દાદીનું ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. છેલ્લા એક અઠવાડિયામાં છ મૃતકોના કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. ડેથ સર્ટિફિકેટ ન મળવાથી બેન્ક એકાઉન્ટ, વીમા પોલિસીના નાણાં અને વારસાઈ કરવામાં મુશ્કેલી ઉભી થઈ છે.
1946માં સરકારે અંતિમવિધિ માટે હંસપુરા ગામને આ જમીન ફાળવી હતી. 74 વરસથી આજ સ્મશાનમાં ગામના લોકોની અંતિમવિધિ થતી હતી અને કોર્પોરેશન ડેથ સર્ટિફિકેટ પણ આપતું હતું. ગામના લોકોનો આક્ષેપ છે કે સ્મશાનની આસપાસની જમીન પર બિલ્ડરો કબ્જો કરવા માંગતા હોવાથી કોર્પોરેશને અહીં અંતિમવિધિ કરવા પ્રતિબંધ મૂક્યો છે.
સ્મશાનની જગ્યાએ બિલ્ડરોના દબાણથી કોર્પોરેશન બગીચો બનાવવા ઈચ્છે છે. જેથી આસપાસની સ્કીમો અને જમીનોના સારા ભાવ આવે. કોર્પોરેશને અહીં જૂનું સ્મશાન તોડી નાખ્યું છે. જેથી લોકો ખુલ્લી જગ્યામાં જ અંતિમવિધિ કરે છે. ગામ લોકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન અહીં બગીચો કરવા દબાણ કરે છે. ગામના લોકોની માંગ છે કે આ 74 વર્ષ જૂનું સ્મશાન છે અને અહીં સ્મશાન જ બનવું જોઈએ.
કોર્પોરેશનના અધિકારીઓ યેન કેન પ્રકારે બિલ્ડરોના દબાણથી અહીં સ્મશાન બંધ કરવા ઈચ્છે છે. કોઈપણ પ્રકારના લેખિત આદેશ વિના જ અધિકારીઓ ગામના લોકોનો દબાણ કરે છે. ડેથ સર્ટિફિકેટ ના આપવા છતાં ગામના લોકો અહીં જ અંતિમવિધિ કરે છે. ત્યારે હવે ગામના લોકોએ આ બાબતે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સુધી ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 2000થી વધુ નર્સની તાત્કાલિક સીધી ભરતી કરાશે, અનાથ બનેલા બાળકોને મહિને 4000 ચૂકવાશે