Ahmedabad : કર્ફ્યૂને પગલે પોલીસની દંડ વસુલાતની કાર્યવાહી, અધધધ દંડ વસુલાયો
Ahmedabad : શહેરમાં ફરી કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત શહેરમાં રાત્રિ કર્ફ્યૂ પણ લાગું કરાયો છે. ફરી વખત શહેર પોલીસ માસ્કને લઇને દંડ વસુલવાનું શરૂ કર્યું છે.
Ahmedabad : શહેરમાં ફરી કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત શહેરમાં રાત્રિ કર્ફ્યૂ પણ લાગું કરાયો છે. ફરી વખત શહેર પોલીસ માસ્કને લઇને દંડ વસુલવાનું શરૂ કર્યું છે. પોલીસે રાત્રિ દરમિયાન માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાનું તેમજ કર્ફ્યૂમાં ઘરની બહાર નીકળતા લોકો વિરુદ્ધ ગુનો નોંધવાનું શરુ કર્યુ છે. પોલીસે એક જ દિવસમાં આશરે 800થી વધારે લોકો પાસેથી રૂ.8.35 લાખનો દંડ વસુલ્યો છે. જ્યારે 61 વાહન ડિટેઈન કરીને વાહન માલિક પાસેથી રૂ.8.83 લાખ દંડ વસૂલ્યો છે. આમ એક જ દિવસમાં પોલીસે રૂ.17.18 લાખ ખંખેર્યા છે. પોલીસે કર્ફ્યુ ભંગ બદલ 141 લોકો સામે ગુના નોંધ્યો છે. છેલ્લા એક વર્ષમાં કર્ફ્યૂ અને જાહેરનામા ભંગના 45,283 ગુના નોંધીને 54,497 લોકોની અટક પણ કરાઇ છે.
લોકડાઉનની અફવાના પગલે લોકો ખરીદી કરવા ઉમટયાં
અમદાવાદ શહેરમાં હવે રાત્રે 9થી સવારે 6 સુધીના કર્ફ્યૂની જાહેરાતથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આમ છતાં શહેરીજનોમાં લૉકડાઉનની અફવા પ્રસરી જતાં મોલ, દુકાનો, બજારોમાં લોકો ખરીદી કરવા ઉમટયાં હતા. જેના પગલે મનપા કમિશનરે ટ્વિટ કરી સ્પષ્ટતા કરવી પડી હતી. કે, શનિ-રવિ રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. કમિશનરના જણાવ્યા પ્રમાણે લૉકડાઉન આપવાનું કોઈ આયોજન નથી. જેથી લોકોએ ગભરાવવું નહીં. આમ છતાં શહેરમાં સપ્તાહના અંતમાં ફરી લોકડાઉન આવવાની અફવાએ જોર પકડ્યુ હતું. જેથી લોકો પ્રોવિઝન સ્ટોરમાં માલ-સામાનની ખરીદી કરવા લાગ્યા હતાં.
ખાણીપીણીના સ્થળોને બંધ કરાવાયા
અમદાવાદ શહેરમાં રસ્તા પર ટેબલ પાથરતાં ખાણીપીણી બજારના એકમોને બંધ કરાવવામાં આવ્યા હતા. જેમાં મણિનગર, માણેકચોક, સીજી માર્કેટ, વિરાટનગર માર્કેટ, શાહીબાગ નમસ્તે સર્કલના ફૂડ માર્કેટ બંધ કરાવ્યાં હતાં.
દિવાળી બાદ ફરી કેસમાં ઉછાળો નોંધાયો
શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. 28 નવેમ્બરે શહેરમાં 332 કેસ નોંધાયા બાદ ફરી એકવાર શુક્રવારે મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. 252 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. હજુ પણ 784 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે કુલ 15 હજાર નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા હતા. જેમાં ધોળકા અને દસ્ક્રોઈમાં 4-4, સાણંદમાં 1 કેસ નોંધાયો હતો. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4122 કેસ નોંધાઈ ચૂક્યા છે.