Gandhi Godse Ek Yudh Review: મજબૂત વિષય પર સરળ સ્ટોરી, કલાકારોની શાનદાર એક્ટિંગ, ફિલ્મ જોતાં પહેલા વાંચો રિવ્યૂ
Gandhi Godse Ek Yudh Review : 'ગાંધી ગોડસે એક યુદ્ધ'ના ટ્રેલર બાદ દરેક લોકો આ ફિલ્મ જોવા માટે ઉત્સુક હતા. જો તમે પણ આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોવ તો આ રિવ્યૂ (Movie Review) ચોક્કસ વાંચો.
ફિલ્મ : ગાંધી ગોડસે – એક યુદ્ધ
કાસ્ટ : દીપક અંતાની, ચિન્મય માંડલેકર, તનીષા સંતોષી
સ્ટાર : 3/5
રાજકુમાર સંતોષીની ફિલ્મ ગાંધી ગોડસે – એક યુદ્ધ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિના ચાર દિવસ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ વિશે દરરોજ ‘વોટ્સઅપ ફોરવર્ડ્સ’ દ્વારા તેમના વિશે વાયરલ થતી અફવાઓ પર બ્રેક લગાવતા દર્શકો સામે વાસ્તવિકતા રજૂ કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ સાથે રાજકુમાર સંતોષીએ 9 વર્ષ બાદ બોક્સ ઓફિસ પર કમબેક કર્યું છે.
જાણો શું છે ફિલ્મની સ્ટોરી
30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધી પર ત્રણ ગોળીઓ મારી હતી, ત્યારબાદ ગાંધીજીએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. આ ફિલ્મની સ્ટોરીમાં નિર્દેશકે આ ઘટના પછીની કાલ્પનિક દુનિયાને ઓડિયન્સ સામે રજૂ કરી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ગાંધી ગોડસેની ગોળીઓથી બચી જાય છે, ગોડસેની ધરપકડ કરવામાં આવે છે.
ગાંધીએ ગોળી મારનાર ગોડસેને માફ કરી દીધો છે. આ એ સમય છે જ્યારે દેશને આઝાદી મળી હતી, પરંતુ લોકોનો સંઘર્ષ ચાલી રહ્યો હતો. ગ્રામ સ્વરાજની સ્થાપના કરતી વખતે ગાંધી ફરી એકવાર ગામના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે અભિયાન શરૂ કરે છે. આ દરમિયાન ગાંધીની ઈચ્છા પર તેમને ગોડસે સાથે જેલમાં બંધ કરવામાં આવે છે. ગાંધીને તેની બેરેકમાં જોઈને ગોડસે દંગ રહી જાય છે અને તેમની વચ્ચે શરૂ થાય છે વિચારોનું યુદ્ધ.
કેમ ન જોવી?
ગાંધી ગોડસે એક યુદ્ધમાં ‘યુદ્ધ’ છે, પરંતુ તે વિચારોનું યુદ્ધ છે. સ્ટોરી નબળી છે, જેના કારણે ગંભીર વિષય પર બનેલી ફિલ્મ ઘણી જગ્યાએ સરળ લાગે છે. આ ફિલ્મથી રાજકુમાર સંતોષીની દીકરી તનિષા સંતોષીએ ડેબ્યૂ કર્યું હતું. તેણે સુષ્માનું પાત્ર ભજવ્યું છે. તેમાં સુષ્મા અને નરેન (અનુજ સૈની) વચ્ચેની એક લવસ્ટોરી પણ બતાવવામાં આવી છે, પરંતુ ઘણીવાર ગાંધી ગોડસેના વિચારોના યુદ્ધ વચ્ચે અચાનક લવ સ્ટોરી પર સ્ટોરીનું જવું તે હેરાન કરે છે.
ફિલ્મ જોયા પછી તમે વિચારશો કે આ ફિલ્મ કેમ બની? નિર્માતા નિર્દેશકનો શું હતો ઉદ્દેશ્ય? તે શું બતાવવા માંગતો હતો? કારણ કે કાલ્પનિક બાબતો સિવાય બાકીનું બધું ઈતિહાસમાં છે, અને તે પણ યોગ્ય રીતે બતાવવામાં આવી શક્યું નથી.
કેમ જોવી જોઈએ ફિલ્મ
ફિલ્મનું એક નવું પાસું એ છે કે તેને કલ્પના દ્વારા બતાવવામાં આવ્યું છે, જે કદાચ તમે ક્યારેય નહીં જોયું હોય. ગાંધીજી જીવતા હોત તો શું કર્યું હોત? જો તે ગોડસેને મળ્યો હોત તો તેણે શું કર્યું હોત? આ સવાલોના ઘણા જવાબો હોઈ શકે છે, જેમાંથી એક રાજકુમાર સંતોષીએ ફિલ્મ દ્વારા આપ્યો છે.
એક અલગ વિચાર લઈને લેખકે આ ફિલ્મમાં એક અલગ જ દુનિયા બનાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં તેને ઈતિહાસના બે મોટા પાત્રોને જીવીત કરીને એક નવી સ્ટોરી બનાવી છે. આ પ્રકારનો એક્સપરિમેન્ટ વિદેશી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ દ્વારા ઈતિહાસમાં કલ્પના રજૂ કરવામાં આવી છે, જે ફિલ્મનો પ્લસ પોઈન્ટ ગણવામાં આવે છે.
એક્ટિંગ કેવી છે
લેખક અસગર વજાહના એક નાટક પરથી પ્રભાવિત થઈને રાજકુમાર સંતોષીએ આ ફિલ્મ બનાવી હતી. રાજકુમાર સંતોષીએ અસગર વજાહત સાથે મળીને તેની સ્ટોરી લખી છે. પરંતુ સેકન્ડ પાર્ટમાં જ્યાં ગોડસે દ્વારા ગાંધીને ગોળી મારી છે, આ ઘટના પછી લખાયેલી સ્ક્રિપ્ટ વધુ રસપ્રદ બનાવી શકાઈ હોત. આ ફિલ્મનું કાસ્ટિંગ અને તમામ કલાકારોની એક્ટિંગ શાનદાર છે. નાથુરામ ગોડસેનો રોલ કરનાર ચિન્મય માંડલેકરે પણ ગોડસેનો પક્ષ લોકો સામે ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો છે. દીપક અંતાની ફરી એકવાર ગાંધીના રોલમાં બધાને પ્રભાવિત કરે છે. તનિષાની એક્ટિંગ પણ સારી છે.
ફિલ્મના ગીતો અને ગાંધીજીના ભજનોને ઓડિયન્સ પસંદ કરી રહ્યા છે. ફરી એકવાર એ.આર. રહેમાનનું સંગીત હૃદયને સ્પર્શી જાય તેવું છે. 50 વર્ષ પહેલાના લોકેસન, જૂની ઈમારતોને ફરી એકવાર ફિલ્મમાં જીવીત કરવામાં આવી છે. સિનેમેટોગ્રાફરને તેના કામ માટે પૂરા માર્ક્સ આપી શકાય છે.
આ પણ વાંચો : Mission Majnu Review: નબળી સ્ક્રિપ્ટ, સિદ્ધાર્થ અને રશ્મિકાની જોરદાર એક્ટિંગ, વાંચો મૂવી રિવ્યૂ
નવો એક્સપરિમેન્ટ
આ ફિલ્મ સાથે ભારતીય સિનેમામાં ‘વોટ ઈફ’ સ્ટાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ઈતિહાસની એવી ઘટના વિશે વિચારવું કે જે બિલકુલ બની નથી. પહેલીવાર બોલીવુડમાં આવા પ્રકારની ફિલ્મ બની છે.