કારગિલ પર વધુ એક ફિલ્મ, ચિત્રાંગદા સિંહ કારગિલના હીરોની બનાવશે બાયોપિક
કારગિલ યુદ્ધમાં અદભૂત બહાદુરી દેખાડનાર દેશના સૌથી યુવા પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્ર સિંહ યાદવની બાયોપિક બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. ચિત્રાંગદા સિંહે (Chitrangda Singh) આ બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે.
ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહની બાયોપિક સૂરમા બનાવનારી એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh) બીજી એક બાયોપિક બનાવવા જઈ રહી છે. આ વખતની બાયોપિક જેમણે કારગિલ યુદ્ધમાં જબરદસ્ત બહાદુરી બતાવનાર સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવની (Yogendra Singh Yadav Biopic) હશે. યોગેન્દ્ર સિંહ યાદવ 19 વર્ષની ઉંમરે પરમવીર ચક્ર જીતનાર સૌથી યુવા ભારતીય છે. પરમવીર ચક્ર એ દેશમાં લશ્કરી બહાદુરી માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. યોગેન્દ્ર યાદવની પ્રેરણાદાયી વાર્તાને પડદા પર લાવવાના અધિકારો ચિત્રાંગદા સિંહે લીધા છે. ફિલ્મ બનાવવાના રાઇટ્સ મળ્યા બાદ ચિત્રાંગદાએ કહ્યું કે હું દેશના આવા હીરોની વાર્તા કહેવા માંગુ છું, જેઓ ખરેખર હીરો છે, પરંતુ જેમને ભૂલી ગયા છે. તેમનું જીવન જોઈને આપણે ગર્વ અનુભવવો જોઈએ. સૂરમા પછી હું આવા બીજા હીરોની વાર્તાને પડદા પર લાવવાની કોશિશ કરી રહી છું.
આ છે યોગેન્દ્ર સિંહ યાદવની સ્ટોરી
યોગેન્દ્ર યાદવની વાર્તા સાથે ભારતીય સિનેમાના પડદા પર કારગિલ યુદ્ધમાં ટાઈગર હિલ્સ પરની જીતની પ્રેરણાદાયી ઘટના ફિલ્માવવામાં આવશે. 16 વર્ષ અને પાંચ મહિનાની ઉંમરે ભારતીય સેનામાં સામેલ થયેલા યોગેન્દ્ર સિંહ યાદવ યુદ્ધમાં 18 ગ્રેનેડિયર્સ સાથે કાર્યરત કમાન્ડો પ્લાટૂન ‘ઘાતક’નો ભાગ હતો, જેને ટાઈગર પર દુશ્મન પાકિસ્તાનના ત્રણ બંકરોને કબજે કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ પહાડી બંકરો 1000 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવ્યા હતા.
12 ગોળીઓ પછી પણ, યોગેન્દ્ર યાદવે તે બંકરો પર ચાર દુશ્મનોને મારી નાખ્યા અને તેમના યુનિટે દુશ્મનને હરાવી અને ટાઇગર હિલ્સ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ યોગેન્દ્ર યાદવે આ જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમને મરણોત્તર પરમવીર ચક્ર પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સમાચાર આવ્યા કે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમના નામનો અન્ય એક સાથી શહીદ થયો છે.
બોલિવૂડમાં કારગિલ યુદ્ધ પર ફિલ્મો બની છે અને તેમાં યોગેન્દ્ર યાદવની બહાદુરી બતાવવામાં આવી છે. ઋતિક રોશન સ્ટાટર ફિલ્મ લક્ષ્ય એ ટાઇગર હિલ પર જીતની વાર્તા હતી. તેમાં આખી પ્લાટૂનની ટાઈગર હિલ પર ત્રિરંગો ફરકાવવાની બહાદુરી દેખાડવામાં આવી હતી. જ્યારે જે.પી. દત્તાની એલઓસી કારગીલમાં મનોજ બાજપેયીએ યોગેન્દ્ર યાદવની ભૂમિકા ભજવી હતી. પરંતુ ચિત્રાંગદા સિંહે હજુ સુધી તેની ફિલ્મના ટાઈટલ, સ્ટારકાસ્ટ અને શૂટિંગ કે રિલીઝને લગતી કોઈ જાહેરાત કરી નથી.