Gujarat Election 2022: કચ્છમાં ભાજપનો આક્રમક પ્રચાર, એક જ દિવસે આસામ-મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સભાઓ ગજવી
અનેક મોટા નેતાઓએ 18 નવેમ્બરે ગુજરાતમાં અનેક સભાઓ ગજવી હતી. કચ્છમાં (Kutch) મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સભાઓ સંબોધી હતી.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતાર્યા છે. અનેક મોટા નેતાઓએ 18 નવેમ્બરે ગુજરાતમાં અનેક સભાઓ ગજવી હતી. કચ્છમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસમના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સભાઓ સંબોધી હતી. સાથે જ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે જનતાને અપીલ કરી હતી.
વડાપ્રધાનને કલ્પવૃક્ષ સાથે સરખાવી શિવરાજસિંહે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને મુન્દ્રાના ભુજપુર અને નખત્રાણાની સભામાં આડેહાથ લીધા હતા. સાથે જ ભાજપને વિજયી બનાવવા માટે અનુરોધ કર્યો હતો. આ બે વિધાનસભા વિસ્તારના ક્ષત્રિય તથા પરપ્રાતીયોને આકર્ષવા માટે શિવરાજસિંહ કચ્છ આવ્યા હતા. તો બીજી તરફ આસમના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માએ અંજારમાં રોડ-શો અને સભાને સંબોધન કર્યા બાદ ગાંધીધામમાં સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાત ઇલેકશન 2022 : વજુભાઇ વાળાએ રાપરમાં સંબોધી સભા
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા કચ્છમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. રાપરમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવેલા વજુવાળાએ જુના દિવસોને યાદ કરી કચ્છના વાગડ વિસ્તારની સ્થિતિ અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તો રાહુલગાંધીના વીર સાવરકર અંગેના નિવેદન અંગે પણ તેઓએ કોગ્રેસની ઝાટકણી કાઢી હતી ખાસ કરીને ગાંધી,લાલા લજપતરાય,સુભાસચંદ્ર બોઝની કોગ્રેસ નથી તેવો કટાક્ષ કરી ઇન્દિરા ગાંધી પરિવારની કોંગ્રેસ હોવાનુ કહી કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
વજુભાઇ વાળાના પ્રચાર દરમ્યાન રાપરના ભીમાસર ખાતે યોજાયેલી સભામાં કોગ્રેસના અનેક આગેવાનો ભાજપમાં જોડાયા હતા. વજુભાઇએ ગુજરાતમાં ભાજપ મોટી બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારના કોળી તથા રાજપુત સમાજની મોટી વસ્તી છે. તેવામાં અત્યારે કોંગ્રેસની બેઠક પર જીતનુ ગણિત બદલવા માટે વજુભાઇને ભાજપે રાપરના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે કચ્છમાં પણ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આગામી દિવસોમાં અમિત શાહ તથા નવેમ્બરના અંતમાં વડાપ્રધાન પણ કચ્છમાં ચૂંટણી પ્રચાર કરે તેવો કાર્યક્રમ બનાવાઇ રહ્યો છે.