Gujarat Election: ચૂંટણી બ્યૂગલ વાગતા પહેલા PM મોદીએ ઘમરોળી નાખ્યું છે ગુજરાત, જનજન સુધી પહોચીને કર્યો પ્રચાર
હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભાજપે ઉતર પ્રદેશ, ઉતરાખંડ, ગોવા અને મણિપુર રાજ્યમાં મળેલી જીત બાદ તરત જ ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election) પ્રચારના શ્રીગણેશ કરી દીધા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે, ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ભાજપે વડાપ્રધાન મોદીને જ મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ PM મોદીએ (PM Modi) પ્રવાસ થકી લગભગ આખા ગુજરાતને આવરી લીધી છે. સમગ્ર ગુજરાતમાં તેમણે પ્રચાર અને પ્રસાર કર્યો છે. કચ્છથી (Kutch) લઇને દાહોદ અને માનગઢથી લઈને નવસારી સુધીના સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રોડ-શોથી લઈને સભાઓ ગજવી હતી.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત કરી ચૂંટણી પ્રચારની (BJP Campaign) શરૂઆત કરી દીધી હતી. ચૂંટણી પહેલા અત્યાર સુધીમાં તેઓ અનેકવાર ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે. જો અત્યાર સુધીના વડાપ્રધાન મોદીના ચૂંટણી પ્રચારની વાત કરીએ તો તેમનું સૌથી વધારે ફોકસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત (North Gujarat) રહ્યું છે. જો વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તેમણે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના જિલ્લાઓ કવર કર્યા છે. એટલે કે એ બેઠક પર સૌથી વધારો ફોકસ રહ્યું છે, જ્યાં ભાજપને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની સરખામણીએ ઓછી બેઠક મળી હતી. જો અહીંના રાજકીય ગણિત પર નજર કરીએ તો 2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા બેઠકોમાંથી (Assembly Seat) ભાજપને 14 બેઠકો મળી હતી, તો કોંગ્રેસે 17 બેઠકો પર બાજી મારી હતી. એટલે કે ઉત્તર ગુજરાતમાં પાટીદાર આંદોલન સહિતના પ્રશ્નોને કારણે ભાજપને અહીં નુકસાન થયુ હતુ. જો કે આ વખતે હાર્દિક પટેલ સહિત અને અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓના કેસરિયા સહિતના મુદ્દાઓને કારણે આ વખતે રાજકીય સમીકરણો કંઈક જુદા જ સર્જાઈ શકે છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ભાજપનું ફોકસ
હવે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો વડાપ્રધાન મોદીના નામ પર જ ચૂંટણી લડતી ભાજપ પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારો પર કાઠુ કાઢવા મથામણ કરી છે. અહીં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગ્રામ્ય મતદારોનો વિશ્વાસ મેળવવામાં સફળ રહી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો છે. જેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 2017માં ભાજપને 19 બેઠક તો કોંગ્રેસે 28 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે 1 બેઠક પર અપક્ષે વિજય મેળવ્યો હતો. એટલે કે સૌરાષ્ટ્રના (Saurashtra) ગ્રામ્ય વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાય છે. જેથી આ ગઢના કાંગરા ખેરવવા હાલ ભાજપ શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ વખત આવી ચૂક્યા છે. જેમાં પણ પાટીદારને સેન્ટરમાં રાખી પ્રચાર કરવા પ્રયાસ કર્યો. આટકોટથી લઈને પાટીદારોના ગઢ ગણાતા એવા જામકંડોરણામાં તેમણે જનસભા ગોઠવી મતદારોને વિકાસગાથા વર્ણવી રીઝવવા પ્રયત્ન કર્યા હતા.