Gujarat Election 2022: ઉમેદવારોના ફોર્મ સહિત સોગંદનામું ચેક કરવા સ્ક્રૂટીની પ્રક્રિયા કરાઈ, હેલ્પલાઇન પર 15 દિવસમાં 3,100 ફરિયાદ અને રજૂઆતો મળી
પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદની (Ahmedabad) 21 બેઠક પર 589 ફોર્મ ભરાયા છે.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આગળ વધી રહ્યું છે અને દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે સ્ક્રૂટીની પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં તમામ પાર્ટીના અને અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા.
ગુજરાત ઇલેકશન 2022 : બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા
પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદની 21 બેઠક પર 589 ફોર્મ ભરાયા છે. જેમાં સ્ક્રૂટીની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારના ફોર્મ સહિત સોગંદનામું ચેક કરવામાં આવ્યું. જો કોઈ પાર્ટીના ઉમેદવારના સોગંદનામાં કોઈ ભૂલ હોય તો વાંધો ઉઠી શકે છે અને જો વાંધો સાચો ઠરે તો ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ શકે છે.
જોકે આજે એલિસબ્રિજ અને જમાલપુર બેઠકના તમામ ઉમેદવારના ફોર્મ મંજૂર થઈ ગયા હતા. જમાલપુરના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ અને કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા આ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. તેમના પણ ફોર્મ મંજૂર થઈ ગયા છે. જોકે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ યોગ્ય ભરાયું ન હોવાથી રદ કરવામાં આવ્યું હતું.
ગુજરાત ઇલેકશન 2022 : 15 દિવસમાં 3,100 રજૂઆતો
અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે કહ્યું કે, ચૂંટણી સંદર્ભે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેના પર 15 દિવસમાં 3,100 રજૂઆતો થઈ છે. જેમાં મતદાન કાર્ડ, પાર્ટીઓના બેનર અને આચારસંહિતા ભંગની ફરિયાદોનો સમાવેશ થાય છે. 3,100 ફરિયાદોમાં હેલ્પલાઈન નંબર 1915 પર 2 હજાર 424 કોલ અને 674 ફરિયાદો વેબસાઈટ પર મળી છે. કલેક્ટરે કહ્યું કે, જાહેર સંપત્તિે પરથી 59 હજાર 784 બેનર દૂર કર્યા. જ્યારે ખાનગી સંપત્તિ પરથી 3 હજાર 500 બેનર દૂર કરવામાં આવ્યા છે. આચાર સંહિતાની હાલમાં કોઈ ગંભીર ફરિયાદ મળી નથી.