Gujarat Election 2022: ચૂંટણી ટ્રેનિંગ પ્રક્રિયામાં ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે લાલ આંખ, કલેક્ટરે નોટિસ ફટકારી
ચૂંટણીમાં સરકારી કર્મચારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવતી હોય છે. પરંતુ અમદાવાદ (Ahmedabad) જિલ્લાની વાત કરીએ તો અમદાવાદના જિલ્લા કલેક્ટરે ચૂંટણી ટ્રેનિંગ પ્રક્રિયામાં હાજર ન રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જો કે બીજી તરફ રાજકીય પક્ષોની જેમ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઇને સરકારી કર્મચારીઓને કેટલીક વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ માટે એક ટ્રેનિંગ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જો કે અમદાવાદ કલેકટરે આ ટ્રેનિંગ કાર્યક્રમમાં હાજર ન રહેનાર સામે કડક પગલા લીધા છે.
ગુજરાત ઇલેકશન 2022 : ટ્રેનિંગમાં હાજર ન રહેનાર સામે કાર્યવાહી
ચૂંટણીમાં સરકારી કર્મચારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવતી હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદના જિલ્લા કલેક્ટરે ચૂંટણી ટ્રેનિંગ પ્રક્રિયામાં હાજર ન રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. 27 હજાર સ્ટાફમાંથી 10 ટકા સ્ટાફ હાજર ન થતા નોટિસ આપવામાં આવી છે. 40 જેટલા કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વોરન્ટ જાહેર કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
બીજી તરફ હાજર ન થનારા કર્માચારીઓ અલગ અલગ કારણ દર્શાવી રહ્યા છે. કોઈ લગ્ન તો કોઈએ બિમારીનું કારણ દર્શાવ્યું છે. તો અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ મળનારા કર્મચારીઓને ફરજ પર હાજર થવા અને કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પોલીસ ફરિયાદનો આંકડો હજુ પણ વધી શકે છે.
ગુજરાત ઇલેકશન 2022 : કોર્પોરેટ હાઉસ સાથે અનોખા કરાર
બીજી તરફ ચૂંટણી પંચે ગુજરાતમાં એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસ સાથે અનોખા કરાર કર્યા છે. આ કરાર હેઠળ, આ કોર્પોરેટ ગૃહો તેમના કર્મચારીઓ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરે છે કે નહીં, તેના પર નજર રાખશે. જો આ કોર્પોરેટ ગૃહોના કર્મચારીઓમાંથી કોઈએ તેમનો મત ના આપ્યો, તો તેઓ તેમની વેબસાઈટ અથવા ઓફિસના નોટિસ બોર્ડ પર મતદાન ના કરનાર લોકોની યાદી બનાવીને તેમા મતદાન ના કરનારનું નામ લખશે.
ચૂંટણી પંચે જૂનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને 500 થી વધુ કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ કંપનીઓને મતદાન માટે પ્રોત્સાહીત કર્યા છે. આવી કંપનીના જે કોઈ કર્મચારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ના કરે તેવા કર્મચારીઓની ઓળખ કરવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા પણ જણાવ્યું હતું.