Gujarat Election 2022: વડાપ્રધાન મોદીના આવતીકાલ ‘5 ડિસેમ્બર’ના રૂટ ઉપર કોન્વોયનું કરવામાં આવ્યું રિહર્સલ
વડાપ્રધાન ચુસ્ત સુરક્ષા વચ્ચે તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને મતદાન કરવા અપીલ કરશે. તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાણીપમાં મતદાન કરવાના છે તે અગાઉ વડાપ્રધાનના સમગ્ર રૂટ ઉપર પીએમના કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8 વાગ્યે રાણીપ ખાતે મતદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લીથી મતદાન કરવા માટે અમદાવાદ આવશે.
લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે ગુજરાત આવી રહ્યા છે. આજે સાંજે અમદાવાદમાં તેમનું આગમન થશે. ત્યાંથી સીધા ગાંધીનગર જવા રવાના થશે. ત્યારબાદ આવતીકાલે સવારે 8 કલાકે તેઓ મતદાન કરશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને મતદાન કરવા અપીલ કરશે. તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરવાના છે.
આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.