Gujarat Election 2022: ચૂંટણી પંચ દ્વારા મતદાન અને મતગણતરીની તૈયારી કરાઇ તેજ, અમદાવાદમાં ત્રણ સ્થળ પર થશે મતગણતરી
આગામી એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન 1 ડિસેમ્બર જ્યારે અમદાવાદ (Ahmedabad) અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતની 93 બેઠકો માટે મતદાન 5 ડિસેમ્બરે થશે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઇને દરેક રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈ એક તરફ ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ચૂંટણી પંચનું તંત્ર મતદાન અને મતગણતરીની તૈયારીઓ વ્યસ્ત બન્યું છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મતગણતરી હાથ ધરાવાની છે, ત્યારે અમદાવાદ જિલ્લાની 21 વિધાન સભા બેઠકો માટે ત્રણ જગ્યાએ મતગણતરી કરવા માટેની તૈયારીઓમાં તંત્ર લાગ્યું છે.
આગામી એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન 1 ડિસેમ્બર જ્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતની 93 બેઠકો માટે મતદાન 5 ડિસેમ્બરે થશે. જયારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ત્રણ સ્થળે એટલે કે એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરાવાની છે જેની તૈયારીઓમાં તંત્ર લાગ્યું છે.
અમદાવાદની એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજ સહિત ત્રણેય મતગણતરી સેન્ટર પર સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન બાદ EVM મશીન મતગણતરી કેન્દ્રો પર લાવવામાં આવશે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં 8 ડિસેમ્બર સુધી EVM મશીન CCTVની દેખરેખમાં મૂકાશે. 8 ડિસેમ્બરે ઉમેદવાર અને તેમના ટેકેદારો સહિત અધિકારીઓ મતગણતરી કેન્દ્રમાં બેસીને મતગણતરી કરી શકે તેવી વ્યવસ્થાને આખરી ઓપ આપવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા કરાઈ રહેલી તૈયારીને પરિણામે મતગણતરી બાદ બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતું હોય છે. કઈ પાર્ટીના ઉમેરવાર કેટલી લીડ સાથે આગળ હોય છે તે બપોર સુધી સ્પષ્ટ થાય છે. સાથે જ પારદર્શિતા જળવાય તેમજ કોઈ પ્રક્રિયા પર આક્ષેપ ન કરી શકે તેનું પણ વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે. સાથે જ મતગણતરી સેન્ટર પર મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ પણ ઉભા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મહત્વનુ છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં પુરી થાય અને ત્યારબાદ મત ગણતરી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ સમગ્ર પ્રક્રિયા સુરક્ષા વ્યવસ્થા સાથે પૂર્ણ થાય તેની જહેમત ચૂંટણી પંચ ઉઠાવી રહ્યું છે.