Gujarat Election 2022: ખેડાના મહુધાના ધારાસભ્યનો વધુ એક વીડિયો વાયરલ, ડોર ટુ ડોર પ્રચારમાં સ્થાનિકોએ માગ્યો 35 વર્ષનો હિસાબ
Gujarat Election 2022: ખેડાના મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડોર ટુ ડોર પ્રચારમાં તેમને કડવો અનુભવ થયો છે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન સ્થાનિકો તેમનો અને તેમના પિતાના 35 વર્ષના કાર્યકાળનો હિસાબ માગી રહ્યા છે.
એક તરફ ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે તો બીજી તરફ ખેડાની મહુધા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવારના એક બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પહેલા કોઈ ચોક્કસ સંપ્રદાય માટે હોસ્પિટલ ખસેડવાની વાત કરી હોવાનો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયો મુદ્દે હજુ તો ઈન્દ્રજીત પરમારે ખુલાસો જ આપ્યો છે, ત્યાં તો ડોર ટુ ડોર પ્રચારમાં સ્થાનિકોના વિરોધનો બીજો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ઇન્દ્રજીત પરમારના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન સ્થાનિકો તેમનો અને તેમના પિતાના 35 વર્ષના કાર્યકાળનો હિસાબ માગી રહ્યા છે. સ્થાનિકોએ કામગીરીનો હિસાબ માગતા ઇન્દ્રજીત પરમાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.
અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારે વિવાદી નિવેદન આપ્યુ હતુ. પ્રચાર દરમિયાન તેમણે કહ્યું હતુ કે “મુસ્લિમ સમાજે મને પેટીઓ ભરીને મત આપ્યા હોવાથી હું ધારાસભ્ય બન્યો છુ. તમે મારી માટે અલ્લાહ સમાન છો અને મારા મા-બાપ છો”. વધુમાં તેમણે દવાખાનાનો ઉલ્લેખ કરીને જણાવ્યુ કે દવાખાનું પેલી બાજુ જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી. વધુમાં તેમણે કહ્યુ કે “હું બાંહેધરી આપુ છુ કે હિંદુ વિસ્તારમાં દવાખાનુ નહીં જવા દઉ.”
ઈન્દ્રજીત પરમારનો આ વીડિયો વાયરલ થતા ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ આ વીડિયો ટ્વીટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. વીડિયોમાં કોઈ હિન્દુ વિસ્તારમાં દવાખાનાની મંજૂરી નહીં આપવાનો ઉલ્લેખ થયો હતો.
આ વાયરલ વીડિયો મુદ્દે ઈન્દ્રજીત પરમારે સ્પષ્ટતા કરી હતી કે એ વીડિયો વર્ષ 2017નો ઠે. મેં કોઈ ચોક્કસ સંપ્રદાય માટે હોસ્પિટલ ખસેડવાની વાત કરી નથી. પરંતુ હોસ્પિટલ નજીક રહે અને બધાને લાભ મળે તેવી વાત કરી છે. પરંતુ ભાજપ દ્વારા વીડિયો વાયરલ કરી મને બદનામ કરવાની કોશિષ થઈ રહી છે. ભાજપને હારનો ડર હોવાને કારણે આવા કાવાદાવા કરી રહી છે.
કોંગ્રેસના ચંદનજી ઠાકોરે પણ આપ્યુ હતુ વિવાદી નિવેદન
કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો પણ વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કહી રહ્યા છે કે આ દેશને કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ સમાજ બચાવી શકે, આ નિવેદનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરી નિવેદનને વખોડ્યુ હતુ અને કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરતી હોવાનો પ્રહાર કર્યો હતો.