Gujarat Election 2022: આ સમાજને કોઈ પણ રાજકીય પક્ષે ટિકિટ ન આપતા સ્થાનિક નાગરિકોમાં રોષ
ગુજરાતમાં જયારથી ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી વિવિધ રાજકીય પક્ષો અને સમાજમાં વિરોધનો સુર ઉઠ્યો છે. જામનગરમાં સતવારા સમાજને (Satvara samaj) ટિકિટ ન મળતા સમાજે ચૂંટણીલક્ષી બેઠક બોલાવી હતી.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થતા અનેક સમાજની નારાજગી સામે આવી છે. જામનગરમાં સતવારા સમાજને ટિકિટ ન મળતા સમાજે ચૂંટણીલક્ષી બેઠક બોલાવી હતી. જામનગર અને દ્વારકાની 7 બેઠકમાં દોઢ લાખ મતદારો સતવારા સમાજના હોવાનો દાવો છે. ત્યારે કોઈપણ પક્ષે સતવારા સમાજમાંથી દાવેદારોને ટિકિટ ન આપતા સમાજના આગેવાનો રોષે ભરાયા છે. હાલાર પંથકમાં સતવારા સમાજનું મતદાન નિર્ણાયક રહે છે એવામાં મતદાનને લઈ સમાજ ક્યાં પક્ષ સાથે રહેશે કે મતદાનથી અળગા રહેશે તેના પર સૌની નજર રહેશે.
ગુજરાત ચૂંટણી 2022: વિવિધ સમાજ અને પક્ષો ટિકિટ ફાળવણીથી નારાજ
ગુજરાતમાં જયારથી ચૂંટણી જાહેર થઈ છે અને ખાસ તો જ્યારથી ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી વિવિધ રાજકીય પક્ષો અને સમાજમાં ઉકળતકા ચરુ જેવી પરિસ્થિતિ છે. સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક માટે બ્રહ્મસમાજે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે અહીં નામ બદલતા બ્રહ્મ સમાજમાં રોષ ભભૂક્યો છે. જીજ્ઞા પંડ્યાએ પોતાની જગ્યાએ અન્યને તક આપવા પક્ષને રજૂઆત કરી હતી. જેના પર પક્ષે જગદીશ મકવાણાનું નામ જાહેર કર્યુ હતું. જોકે ભાજપે દબાણ પૂર્વક જિજ્ઞા પંડ્યાની ટિકિટ કાપી અન્યને ટિકિટ આપી હોવાનો બ્રહ્મસમાજે આરોપ લગાવ્યો હતો. સાથે જ નવા ઉમેદવારને ન સ્વીકારવા બ્રહ્મસમાજમાં ભારે વિરોધ પ્રસર્યો છે. અને બ્રહ્મસમાજના અગ્રણીઓએ સમાજની બેઠક બોલાવી ટિકિટ માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ભાજપમાં જ્યાં જયાં વિરોધના સૂર ઉઠ્યા છે તેના ડેમેજ કંટ્રોલ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં ઉચ્ચસ્તરીય મેરેથોન બેઠક યોજાઈ હતી. 4 કલાકની બેઠકમાં ડેમેજ કંટ્રોલને લઈ અને નારાજ નેતાઓને મનાવવા રણનીતિ ઘડાઈ હતી. તો બીજી તરફ બાકી રહેલા 16 ઉમેદવારોના નામોને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વઢવાણમાં ભાજપના ઉમેદવાર જીજ્ઞા પંડ્યા પણ આ બેઠકમાં જોડાયા હતા.
ગુજરાત ઇલેક્શન 2022: NCPમાં ખેંચતાણની પરિસ્થિતિ
ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે NCP માં પણ ઉમેદવારોને લઈ વિરોધનો સૂર ઉઠ્યો છે. કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ ન મળતા સમર્થકોમાં રોષ ભભૂક્યો છે. માહિતી મુજબ NCP ના 6 હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધા છે. આ પહેલા પણ સૌરાષ્ટ્ર સહિત અનેક તાલુકા અને જિલ્લા હોદ્દેદારોએ NCP નો સાથ છોડી દીધો છે.