ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર બહારના દેશમાંથી આવેલા નાગરિકો કરી શકશે મતદાન
Gujarat Election 2022: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. તંત્ર તૈયારીઓમાં લાગી ગયુ છે. આ વર્ષે રાજ્યમાં 4 કરોડ કરતા વધુ મતદારો છે. અન્ય મતદારો એવા છે જેઓ બહારથી આવેલા છે અને તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે. આ લોકો પણ આ વખતે મતદાન કરી શકશે.
વિધાનસભા 2022ની ચૂંટણી રોચક રહેશે. આ ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે તંત્ર સંપૂર્ણ તૈયારીમાં લાગી ચૂક્યું છે. જે ચૂંટણીમાં પ્રથમ વખત સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ઘરેથી મતદાન કરી શકશે. આ ચૂંટણી દરમિયાન બહારના દેશમાંથી આવેલા નાગરિકો કે જેઓને ભારતીય નાગરિકત્વ આપવા આવ્યું છે તેઓ પણ મતદાન કરતા જોવા મળશે.
રાજ્યમાં કુલ 4 કરોડ કરતા વધુ મતદારો
વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા તંત્ર તૈયારીઓમાં લાગ્યું છે. આ ચૂંટણીમાં ગુજરાત રાજ્યના 4 કરોડ કરતાં વધુ મતદારો મતદાન કરશે. જેમાં અમદાવાદમાં અંદાજે 60 લાખ મતદારનો સમાવેશ થાય છે. જે મતદારોમાં 31 લાખ ઉપર પુરુષ મતદારો અને 28 લાખ ઉપર મહિલા મતદારો છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા 211 છે. મતદારોમાં યુવા મતદારની વાત કરવામાં આવે તો 93,000 ઉપર યુવા મતદારો છે, જેઓ પ્રથમ વખત મતદાન કરશે.
80 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 1.31 લાખ ઉપર છે. જ્યારે સેવા મતદારની સંખ્યા 3000 ઉપર આંકડો બોલી રહ્યો છે. તો દિવ્યાંગ મતદારો 30,000 જેટલા અંદાજે નોંધાયેલા છે. આ મતદારોની વચ્ચે અન્ય કેટલાક મતદારો એવા છે કે જેઓ બહારથી આવેલા છે, જેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે જેઓ પણ આ વખતે મતદાન કરતા જોવા મળશે.
અમદાવાદમાં બહારના દેશમાંથી આવીને વસેલા 1032 લોકો
અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા મળતી માહિતી પ્રમાણે બહારના દેશમાંથી આવેલા અને ભારતીય નાગરિકતા મેળવેલા 2017થી લઈને 2022 સુધીમાં 1032 લોકો છે. આ લોકો પાસે મતદાન કાર્ડ હશે તો તેઓ મતદાન કરી શકશે. જેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ભારતમાં આવેલા અને ભારતીય નાગરિકતા મેળવેલા લોકોનો સમાવેશ થાય છે.
જો ભારતમાં વસતા અન્ય દેશના અને નાગરિકતા મેળવેલા લોકોના કેટલાક વર્ષોના આંકડા ઉપર નજર કરીએ તો
- 2017 માં 187
- 2018 માં 256
- 2019 માં 205
- 2020 માં 65
- 2021 માં 212
- 2022 માં 107
એમ કુલ મળીને 1032 જેટલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની નાગરિકને ભારતીય નાગરિક તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે. જેઓ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પોતાનો મત આપશે. આ મતદારો એવા છે કે તેઓને કલેકટર તેમજ નેતાઓ દ્વારા ભારતીય નાગરિક તરીકે 2017 થી 2022 દરમિયાન સર્ટિફાઇડ કરાયા છે. જેથી તેઓના મત પણ આ ચૂંટણી દરમિયાન મહત્વના બની રહેશે.