Gujarat Election 2022 : ગુજરાતમાં ‘રાજ્યાભિષેક’ માટે સતત બીજા દિવસે ભાજપના દિગ્ગજો ચૂંટણી રણમાં, PM મોદી સહિતના કેન્દ્રીય નેતાઓ ગજવશે ગુજરાત
વડાપ્રધાન મોદી આજે ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કુલ ચાર જનસભાને સંબોધશે. તો ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ પ્રચાર થકી મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માગતા નથી. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી આજે ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કુલ ચાર જનસભાને સંબોધશે. તો ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ આજે ગુજરાત ગજવશે.
PM મોદી ગુજરાતમાં 4 મહાસભાઓ સંબોધશે
ગુજરાત ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદીએ અનેક વખત ગુજરાત મુલાકાત કરી છે, ત્યારે ફરી એક વાર તેઓ ઝંઝાવાતી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. સૌપ્રથમ PM મોદી મહેસાણામાં પ્રચંડ પ્રચાર કરશે. જે બાદ તેઓ દાહોદ અને વડોદરામાં મહાસભાને સંબોધશે અને ભાવનગરમાં પણ વડાપ્રધાન સભા ગજવશે.
અમિત શાહ પણ મતદારોને રીઝવવા મેદાને
ચૂંટણીના ચાણક્ય ગણાતા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ વિજય સંકલ્પ સાથે પ્રચાર અને પ્રસાર થકી મતદારોની નજીક પહોંચી રહ્યા છે. આજે તેઓ જસદણ, દસાડા અને નવસારી જિલ્લાના બારડોલીમાં જાહેર સભા ગજવશે. તો ભાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ આજે ગુજરાતમાં છે. તેઓ જુનાગઢ અને સુરત શહેર અને જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
કેન્દ્રિય મંત્રી પરષોતમ રૂપાલા સૌરાષ્ટ્રમાં ગજવશે સભા
ભાજપે આ વખતે તમામ રેકોર્ડ તોડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેન્દ્રિય મંત્રી પરષોતમ રૂપાલા આજે ત્રાસલા, માંગરોળ,સાવરકુંડલાના નેસડી અને ઘારીના વેકરીયામાં આજે જાહેર સભાને સંબોધશે. તો ‘બુલડોઝર બાબા’ તરીકે ઓળખાતા ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ આજે ગુજરાતમાં છે. તેઓ દ્વારકા મંદિરમાં શ્રીકુષ્ણના શરણમાં શીશ ઝૂકાવી પ્રચારની શરૂઆત કરશે. તેઓ સતવારા સમાજની વાડીએ જાહેર સભા સંબોધશે. બાદમાં હળવદમાં જાહેર સભા અને સુરતના ઉમિયાધામ મંદિર ખાતે રોડ-શો થકી પ્રચાર કરશે.