5 State Poll Guidelines: આ વખતે કડક નિયમો વચ્ચે થશે ચૂંટણી, રેલીઓ નહીં થાય, ચૂંટણી પંચે જાહેર કર્યા કડક સૂચનો
દેશ પર જ્યારે કોવિડ મહામારીની ત્રીજી લહેરનો (Third Wave) ખતરો છે ત્યારે ચૂંટણી પંચે કહ્યું કે વિશેષ સુવિધા કરવામાં આવી છે જેનાથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય.
“યકીન હો તો કોઈ રાસ્તા નિલકતા હૈ, હવા કી ઓટ કો લેકર ચિરાગ જલતા હૈ”ની સાથે મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra) દ્વારા કોરોના મહામારી (Covid-19 Pandemic) વચ્ચે 5 રાજ્યોની ચૂંટણીની (Assembly Election) સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
દેશ પર જ્યારે કોવિડ મહામારીની ત્રીજી લહેરનો (Third Wave) ખતરો છે ત્યારે ચૂંટણી પંચે કહ્યું કે વિશેષ સુવિધા કરવામાં આવી છે જેનાથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય. સુશીલ ચંદ્રાએ કહ્યું કે પંચે ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખ્યા છે. કોવિડ સુરક્ષિત ચૂંટણી, મતદારોની સુરક્ષા અને મહત્તમ મતદારો ભાગ લે.
5 રાજ્યોની ચૂંટણીમાં અંદાજિત 18.34 કરોડ મતદારો ભાગ લેશે
ચૂંટણી પંચે (Election Commission of India) કોરોનાને લઈને કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય સચિવો, રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને દરેક પોલિંગ બુથ પર સેનેટાઈઝર, માસ્ક, થર્મલ સ્કેનરની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે 5 રાજ્યોની ચૂંટણીમાં અંદાજિત 18.34 કરોડ મતદારો ભાગ લેશે અને આ માટે કુલ 2,15,368 પોલિંગ બુથનો (Polling Booth) ઉપયોગ કરવામાં આવશે.
એક મતદાન મથક પર મતદારોનો આંકડો ઘટાડીની 1250 કરવામાં આવ્યો છે જેથી કોવિડ નિયમોનું પાલન થઈ શકે. ચૂંટણી પ્રક્રિયામાં સામેલ દરેક કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કોવિડ રસીના બંને ડોઝ જરૂરી છે. સુશીલ ચંદ્રાએ કહ્યું કે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે ત્યાં રસીકરણનું કવરેજ આશરે 80% થી વધારે છે.
ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે
ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષથી ઉપરના વૃદ્ધ, કોવિડ સંક્રમિત અને દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઇ છે જ્યા પોલિંગ ટીમના 2 સ્ટાફ મેમ્બર, વિડીયોગ્રાફર અને એક સુરક્ષા જવાન મતદારના ઘરે જશે. ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી તેઓને કોઈ કચેરીમાં જવું ન પડે. ચૂંટણીમાં IAS, IPS અને IRS અધિકારીઓને ખાસ નિરીક્ષક તરીકે નીમવામાં આવશે. આ સાથે જ ચૂંટણી માટે E-Suvidha એપ લોન્ચ કરવામાં આવી છે જે ઉમેદવારોને પ્રચારની તમામ પરવાનગીઓ મેળવવામાં મદદ કરશે.
15 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા, રેલી, સરઘસ પર પ્રતિબંધ
5 રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા, રેલી, સરઘસ પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને મતદાન માટે 1 કલાક વધારી દેવામાં આવ્યો છે. ઉમેદવારો દ્વારા કરાતા ડોર ટુ ડોર પ્રચાર માટે મહત્તમ 5 લોકોની લિમિટ મૂકવામાં આવી અને તમામ રાજકીય પાર્ટીઓને મહામારી દરમ્યાન ડિજિટલ પ્રચાર પર વધારે ભાર મુકાય તેવી સલાહ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) સાત તબક્કામાં, મણિપુરમાં (Manipur) બે તબક્કા અને પંજાબ (Punjab), ગોવા (Goa), ઉત્તરાખંડમાં (Uttarakhand) એક તબક્કામાં ચૂંટણીની જાહેરાત મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રાએ કરી છે અને આ પાંચ રાજ્યોના પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : Uttar Pradesh Election Date 2022: ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન, પરિણામ 10 માર્ચે આવશે
આ પણ વાંચો : Assembly Election 2022: કોરોના વચ્ચે મતદાનની ખાસ તૈયારીઓ, જાણો ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સની ખાસ વાતો