ગુજરાત છોડીને MBBS કરવા વિદેશ જતા ગુજરાતી વિદ્યાર્થીઓમાં કેમ આટલો મોહ છે? જાણો શું છે દેશી અને વિદેશી સંસ્થાઓ વચ્ચેનો મોટો ફરક
ગુજરાતમાં MBBSની બેઠક અને સામે વિદ્યાર્થીઓની સ્થિતિની વાત કરવામાં આવે તો 5500 કરતા વધારે બેઠક સામે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે. ઉંચી ટકાવારી અને ઓછી બેઠકનાં કારણે જે લોકો MBBSમાં પ્રવેશ નથી મેળવી શકતા તે લોકો વિદેશ તરફ પોતાની કારકિર્દીની નજર દોડાવે છે.
હાલમાં ચાલી રહેલા યુક્રેન અને રશિયા વચ્ચેનાં યુદ્ધમાં ભારતીય નાગરિકો ફસાયા હોવાની વિગતો મોટા પાયા પર સામે આવી છે. આ ફસાયેલા નાગરિકોમાં એક મોટો વર્ગ વિદ્યાર્થીઓનો પણ છે કે જે MBBS કરવા માટે યુક્રેન પહોચ્યા છે અને હવે સ્થિતિ એ રીતે ગંભીર બની છે કે તેમનો અભ્યાસ અને ભરેલી ફી સામે સીધા સવાલ ઉભા થઈ ગયા છે. ખાસ કરીને દેશમાંથી ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાંથી વિદ્યાર્થીઓ MBBS કરવા માટે યુક્રેન , જાપાન, ફિલિપાઈન્સ , USA સુધી જતા હોય છે. જો કે આ બધામાં સૌથી મોટી વાત એ છે કે દેશ છોડીને આ લોકોને કેમ વિદેશમાં જવું પડે છે? તો તેનો જવાબ છે વસુલવામાં આવતી ફી નું માર્જીન.
ગુજરાતમાં MBBSની બેઠક અને સામે વિદ્યાર્થીઓની સ્થિતિની વાત કરવામાં આવે તો 5500 કરતા વધારે બેઠક સામે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે. ઉંચી ટકાવારી અને ઓછી બેઠકનાં કારણે જે લોકો MBBSમાં પ્રવેશ નથી મેળવી શકતા તે લોકો વિદેશ તરફ પોતાની કારકિર્દીની નજર દોડાવે છે. ખાસ કરીને વાત યુક્રેન અને ફિલિપાઈન્સની કરવામાં આવે તો આશરે 25 લાખમાં 5 વર્ષ માટે આખો કોર્ષ પુરો થાય છે જ્યારે કે ગુજરાતમાં આનો આંકડો 1 કરોડની આસપાસ થવા જાય છે. એટલે કે સરવાળે જોવા જઈએ તો કરોડોનો ખર્ચ અગર વિદેશમાં રેહવા જમવા સાથે 25 લાખમાં પુરો થઈ જતો હોય તો ઓછા પર્સેન્ટેજમાં પણ વિદેશ તરફ આવા વિદ્યાર્થીઓ વલણ સ્પસ્ટ કરે તે સ્વાભાવિક છે.
ગુજરાતમાં મેનેજમેન્ટ ક્વોટા
ગુજરાતમાં 5500 કરતા વધારે સીટમાંથી મેનેજમેન્ટ ક્વોટાની 265 સીટ છે. ગુજરાતમાં મેડિકલ કોલેજોની કુલ બેઠક સામે 210 સીટ ઓલ ઈન્ડિયા ક્વોટા માટે હોય છે. 4443 બેઠક સરકારી કોલેજોની છે. 590 NRI બેઠક પણ છે.
વિદેશમાં MBBS કરવાનું કારણ શું?
ગુજરાતમાં કરોડની ફી સામે વિદેશમાં એટલી જ ફીમાં તો પાંચ વર્ષનું MBBS પૂર્ણ થઈ જાય છે. ગુજરાતમાં એમ પણ મેરીટનું ધોરણ ઉંચુ રહે છે તેને લઈને પણ સ્પર્ધાત્મકતા પણ ઘણી રહે છે. ભારતમા 60 હજાર કરતા વધારે બેઠક સામે વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં રહે છે તેથી જ વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS કરવા માટે જતા હોય છે. જો કે આવા વિદ્યાર્થીઓ જ્યારે ભારત પરત ફરે છે ત્યારે એનએમસીની પરીક્ષા આપવી પડે છે.
ગુજરાતમાંથી વિદેશમાં જનારાની સંખ્યા
ગુજરાતમાંથી વિદેશમાં જનારાની સંખ્યા પણ નાની નથી. બે હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ મેડિકલ સ્ટડીનાં ધોરણે વિદેશમાં જતા રહેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ ભારતમા રહેલી વિવિધ એજન્સીનો પણ સંપર્ક કરીને જતા હોય છે કે જેથી કરીને સ્થીનિક સ્તર પર કોઈ સમસ્યા સીધી રીતે તેમને નડે નહી. ગુજરાતમાંજ આવી એજન્સીની મધ્યસ્થી પણ 10%નાં ધોરણે પડે છે. કુલ ચુકવવામાં આવેલી ફીની આ ટકાવારી રહે છે.
યુક્રેનમાં ઉભી થયેલી આ સ્થિતિને લઈને ઘણા મોટા પાયા પર વિદ્યાર્થીઓ હાલમાં ત્યાં ફસાઈ ગયા છે અને ભારત પરત ફરવા માટે સંદેશા મોકલતા રહે છે. યુક્રેન પણ એવો દેશ છે કે જ્યાં મેડિકલ કોલેજની સંખ્યા સારી એવી છે અને હાલમાં 1500 કરતા વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને તેમનો અભ્યાસ જળવાઈ રહે તે માટે ઓનલાઈન ક્લાસ પણ ચલાવવામાં આવે છે.