PM એ IFFCO નેનો યુરિયા પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, સામાન્ય ખાતરના વપરાશને 50 ટકા ઘટાડવામાં છે મદદરૂપ, જાણો તેની વિશેષતાઓ
કલોલમાં ઈફ્કો દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા લિક્વિડનો પ્લાન્ટ શનિવારથી વિધિવત રીતે શરૂ થઈ ગયો છે. જેનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ઉદ્ઘાટન કર્યું હતું.
દેશમાં ખરીફ સિઝન શરૂ થઈ ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ખેડૂતોથી લઈને સરકાર સુધી તેઓ ખરીફના મુખ્ય પાક ડાંગરની વાવણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ દેશના ખેડૂતોને ભેટ આપી છે. જે અંતર્ગત IFFCOએ ડાંગરની વાવણી પહેલા દેશમાં નેનો યુરિયા લિક્વિડ (Nano Urea)ની અછતને દૂર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં કલોલમાં ઈફ્કો દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા લિક્વિડનો પ્લાન્ટ શનિવારથી વિધિવત રીતે શરૂ થઈ ગયો છે. જેનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ‘સહકાર થી સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરતી વખતે નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ વિદેશો પર ભારતની ખાતર નિર્ભરતામાં ઘટાડો થશે. ત્યારે આ પ્લાન્ટમાં તૈયાર થયેલ નેનો યુરિયા ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ છે, જે સામાન્ય ખાતરના વપરાશમાં 50 ટકાનો ઘટાડો કરી શકે છે.
દરરોજ 75 હજાર લીટર નેનો યુરિયા લિક્વિડનું ઉત્પાદન થશે
ખરીફ સિઝનમાં ખેડૂતોને ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. આને ધ્યાનમાં રાખીને ખરીફ સિઝન શરૂ થતાં જ ઈફકોએ આ પ્લાન્ટ શરૂ કરી દીધો છે. વાસ્તવમાં આ પ્લાન્ટ ઘણી રીતે ખાસ છે. IFFCO પાસેથી મળેલી માહિતી અનુસાર, પ્લાન્ટ દરરોજ 1.5 લાખ નેનો યુરિયાની બોટલનું ઉત્પાદન કરવા સક્ષમ છે. બોટલ દીઠ ક્ષમતા 500 મિલી છે. આ રીતે, IFFCO આ પ્લાન્ટ દ્વારા દરરોજ 75 હજાર લિટર નેનો યુરિયા પ્રવાહીનું ઉત્પાદન કરશે.
IFFCOએ 175 કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનાવ્યો છે. નેનો યુરિયાનો ઉપયોગ કરીને પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને આ અલ્ટ્રામોડર્ન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આશા છે કે આ પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ દેશમાં મોટા પ્રમાણમાં નેનો યુરિયાની અછત દૂર થશે અને ખેડૂતો સરળતાથી નેનો યુરિયા મેળવી શકશે.
2014 થી યુરિયામાં 100% નીમ કોટિંગ કરવામાં આવી રહ્યું છે
ગુજરાતમાં IFFCO નેનો યુરિયા પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ટ્વિટ કર્યું હતું કે વર્ષ 2014માં સરકાર બન્યા બાદ અમે યુરિયા પર 100 ટકા નીમ કોટિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે આનાથી દેશના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા મળે તે સુનિશ્ચિત થયું છે. તોમરે કહ્યું કે તે જ સમયે અમે યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણામાં 5 બંધ ખાતર ફેક્ટરીઓને ફરીથી શરૂ કરવાનું કામ શરૂ કર્યું.
ગયા વર્ષે 2.9 કરોડ બોટલનું ઉત્પાદન થયું હતું
IFFCO એ વિશ્વની પ્રથમ નેનો યુરિયા વ્યાપારી રીતે વિકસાવી છે. જે ખાતરના ક્ષેત્રમાં પરિવર્તન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગયા વર્ષે ઇફ્કો દ્વારા તેનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત IFFCO વર્ષ 2021-22માં નેનો યુરિયાની 2.9 કરોડ બોટલનું ઉત્પાદન કરવામાં સફળ રહી હતી. જે 13.05 લાખ મેટ્રિક ટન પરંપરાગત યુરિયાની સમકક્ષ છે.
નેનો યુરિયા લિક્વિડ 31મી મે 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું
IFFCOએ પાછલા વર્ષોમાં નેનો યુરિયા લિક્વિડની શોધ કરી હતી. જે બાદ દેશના 94 થી વધુ પાકો પર લગભગ 11,000 કૃષિ ક્ષેત્રના ટ્રાયલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 31 મે 2021ના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી. IFFCO અનુસાર, ખેડૂતો પ્રવાહી યુરિયાનો ઉપયોગ કરીને સામાન્ય યુરિયાનો વપરાશ 50 ટકા ઘટાડી શકે છે. વાસ્તવમાં, નેનો યુરિયા લિક્વિડની 500 મિલીની બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલીની સમકક્ષ નાઇટ્રોજન પોષક તત્વો પ્રદાન કરે છે.