મોરબીમાં જમીન કૌંભાડ, બોગસ આધાર કાર્ડના આધારે બીજાની જમીન વેચી નાખી, 8 લોકો સામે ફરીયાદ
જમીન વેચનાર પાર્ટી બોગસ છે તેવી જાણ થતાં જમીન ખરીદનાર પટેલ વૃદ્ધે મોરબી સિટી એ (Morbi City Police) ડિવિઝન પોલીસ મથકમાં જમીન દલાલ અને બોગસ માલિકો સહિત કુલ આઠ કૌભાંડિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Morbi: વજેપરમાં એક જમીન કૌંભાડ (Land scam) સામે આવ્યું છે. જેમાં કરોડની કિંમતની જમીન મુળ માલિકની જાણ બહાર બારો બાર વેચી દેવાય છે. દલાલ ટોળકીએ જે – તે જમીનના ખોટા માલિક ઉભા કરીને બોગસ આધારકાર્ડ (bogus Aadhaar) રજૂ કરી જમીનને મૂળ હરિપર કેરાળા ગામના વૃદ્ધ પટેલને 16 કરોડમાં વેચી દીધી હતી. જમીનનો સોદો થયા બાદ બદલામાં સાડા ત્રણ કરોડ રૂપિયા પણ ચાઉં કરી લીધા હતા. જે સમગ્ર હકિકત બહાર આવતા ચકચાર મચી છે. જમીન વેચનાર પાર્ટી બોગસ છે તેવી જાણ થતાં જમીન ખરીદનાર પટેલ વૃદ્ધે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જમીન દલાલ અને બોગસ માલિકો સહિત કુલ આઠ કૌભાંડિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો ?
આ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી માહીતી મુજબ મૂળ હરિપર કેરાળા ગામના ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજા કે જેઓ હાલ મોરબીના આલાપ રોડ ઉપર શિવાલીક એપાર્ટમેન્ટમાં રહે છે જેમની ઉંમર 65 વર્ષ છે. તેમણે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જમીન મકાનના દલાલ અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા અને જમીન વેચવા માટે જમીનના માલિક તરીકે કાંતાબેનનું ખોટુ નામ ધારણ કરનાર સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ તેમના પુત્ર પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ જેઓ મોરબીમાં રહે છે. તેમની વિરુદ્ધ છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.
આગળ તેમની પોલીસ ફરિયાદમાં ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજાએ જણાવ્યું હતું કે વર્ષ 2021માં મોરબી નવા બસસ્ટેન્ડ સામે આશાપુરા ટાવરમા વકીલ સહદેવસિંહની ઓફીસમાં ફરિયાદીના ભાઈના કહેવાથી જમીન દલાલ અંબારામભાઈ પટેલ અને તેની ટોળકીના મળતિયાઓએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર 652 પૈકી 3, સર્વે નંબર 75૦ તથા સર્વે નંબર 572 વાળી જમીન મળી કુલ જમીન 4-57-29 હે.આર.ચો.મી. વેચવાની હોવાની હકિકત જણાવી.
મૂળ ખાતેદાર તરીકે કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન તથા સાક્ષી તરીકે રહેલ પીન્ટુભાઇ તથા અલ્પેશભાઇ એમ બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી જમીનના માલીક કાંતાબેનના તથા તેના બન્ને પુત્રના આરોપી નં(6)(7) ના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ઉપરોક્ત જમીનના સાટાખતમાં ખોટા આધારકાર્ડનો ખરા આધારકાર્ડ તરીકે ઉપયોગ કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ચોંકાવનારી બાબત સામે એ આવી છે કે આરોપી દલાલ ટોળકીએ રૂપિયા 16 કરોડમાં વજેપરની જમીનનો સોદો કરી બદલામાં ફરિયાદીનો પ્લોટ લખાવી લઈ રોકડા રૂપિયા સાડા ત્રણ કરોડ પડાવી લીધા હતા.
જો કે, ફરિયાદી ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા તેમણે જમીન દલાલ અંબારામ પટેલ સહિતની ઠગ ટોળકીનો સંપર્ક કરી નાણાં પરત માંગતા ઠગ ટોળકીએ નાણાંનો ભાગ પડી ગયો હોય અને પૈસા વપરાય ગયાનો જવાબ આપતા અંતે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ-406, 420, 465, 467, 468, 471, 120(બી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.