Banaskantha: મેઢાળા ગામે થયેલી માતા પુત્રની હત્યાનો મામલો ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ
થરાદના મેઢાળા ગામે માતા પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો.
થરાદ તાલુકાના મેઢાળા ગામે બનેલી માતા પુત્રની હત્યાનો મામલો થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલ મેળવ્યો છે. પ્રેમ પ્રકરણ તેમજ ઉધાર આપેલાં નાણાંને લઈ તકરાર થતા પ્રેમીએ માતા-પુત્રની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
થરાદના મેઢાળા ગામે માતા પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવ બાદ થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. માતા-પુત્રની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે થરાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથધરી હતી. જેમાં કોલ ડીટેલ તેમજ સ્થાનિક સુત્રોની મદદથી પોલીસે શકમંદોની ઉલટ તપાસ હાથ ધરતા પરબત પટેલ નામનો વ્યક્તિ આરોપી હોવાનું સામે આવ્યું હતું. હત્યા મામલે પોલીસે આરોપીની પૂછપરછ કરતા હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ અને ઉધાર આપેલાં નાણાં પરત મેળવવા માટેનું હોવાનું સામે આવ્યું.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સીતાબેન પટેલ અને પરબત પટેલ એકબીજા સાથે પ્રેમસંબંધથી જોડાયેલા હતા. હત્યાના દિવસે પરબત પટેલ તેના ઘરે આવ્યો હતો. તેણે સીતાબેન પટેલ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે માંગ કરી હતી. જે માટે સીતાબેન પટેલે ના પાડી અને 50000 હજારની માંગણી કરી હતી. મૃતક સીતાબેન પટેલે આરોપીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
જેથી ડરી ગયેલા આરોપી પરબત પટેલે ઘરમાં પડેલી કુહાડી વડે સીતાબેન પટેલને મોતને ઘાટ ઉતારી દીધા હતા. શાળામાંથી પરત આવેલો સીતાબેન પટેલનો દીકરો પરેશ તેની માતાની હત્યા જોઈ ગયો હતો. જેથી દોડી ગયેલા પરેશને પણ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ પોલીસે આરોપી પરબત પટેલને પકડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસે આરોપીએ હત્યા સમયે ઉપયોગમાં લીધેલા હથિયાર તેમજ અન્ય સંયોગિક પુરાવા કબ્જે કર્યા છે.