Anandpal Singh: શિક્ષક બનવા માગતો ગામડાનો યુવક કેમ બની ગયો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર, જાણો સંપૂર્ણ કહાની
આનંદપાલ સિંહે લો ગ્રેજ્યુએટ અને બી.એડનો અભ્યાસ કર્યો હતો. તેણે ગુનાની દુનિયામાં એવું નામ બનાવ્યું કે લોકોમાં તેની ચાહના એક સુપરસ્ટાર જેવી હતી. તેને પકડવા અને સામનો કરવા માટે પોલીસને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવતી હતી.
રાજસ્થાનનો એક યુવક ખૂબ અભ્યાસ કરવા માંગતો હતો. શિક્ષક બનવા માગતો હતો ગામડાનો આ યુવક. બાદમાં કેવી રીતે આ યુવક રાજકારણી બનીને રાજસ્થાનનો સૌથી મોટો ગેંગસ્ટર બન્યો. જેના પર સરકારે 5 લાખનું ઈનામ જાહર કર્યું. જેને પકડવા અને સામનો કરવા માટે પોલીસને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જાણો આ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર આનંદ પાલ સિંહની સંપૂર્ણ કહાની. જે જીવતો હતો ત્યારે પોલીસની ઉંઘ હરામ કરી દીધી અને તેના મોતથી રાજ્ય સરકાર પણ હચમચી ઉઠી હતી.
રાજસ્થાનનો સૌથી મોટો ખૂંખાર ગેંગસ્ટર આનંદપાલ સિંહ નાગૌર વિસ્તારનો હતો. પરંતુ ગામમાં રહેતા અન્ય કોઈ સામાન્ય છોકરાની જેમ નહતો. આનંદપાલે ગુનાની દુનિયામાં એવું નામ બનાવ્યું કે લોકોમાં તેની ચાહના એક સુપરસ્ટાર જેવી હતી.
ખરેખર આનંદપાલ ઘણી રીતે અન્ય ગુંડાઓથી ભિન્ન હતો. લો ગ્રેજ્યુએટ અને બી.એડનો અભ્યાસ કર્યો હતો. તે અસ્ખલિત અંગ્રેજી બોલીને પોતાની એક સોફિસ્ટિકેટેડ છબી બનાવવામાં સફળ રહ્યો હતો. નાગૌર વિસ્તારના આનંદપાલ એક સમયે શિક્ષક બનવા ઇચ્છતા હતા. પણ જિંદગીએ તેને એક અલગ જ રસ્તે લઈ ગઈ.
બી.એડ.નો અભ્યાસ કરતી વખતે તેને રાજકારણ કરવાનું મન બની ગયું અને 2000માં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી. આનંદપાલે પંચાયત સમિતિની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. આ પછી પંચાયત સમિતિના પ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. આનંદપાલસિંહે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસના નેતા હરજી રામ બુરડકનો પુત્ર જગનાથ બુરડક હતો. આનંદપાલ આ ચૂંટણી માત્ર બે મતોના અંતરે હારી ગયા હતા.
નવેમ્બર 2000માં પંચાયત સમિતિમાં સાથી સમિતિઓની ચૂંટણી હતી. આ સમયે આનંદપાલ અને હરજીરામ વચ્ચેનો વિવાદ ઘણો વધી ગયો. એવું કહેવામાં આવે છે કે પાઠ ભણાવવા માટે હરજીએ આનંદ સામે ઘણા ખોટા કેસ દાખલ કર્યા. આ કેસોમાં તેને પોલીસ ત્રાસ સહન કરવો પડ્યો હતો અને તેના પગલા ગુનાની દુનિયા તરફ આગળ વધ્યા હતા.
બાદમાં રાજકારણ સાથે તેણે દારૂની તસ્કરી પણ શરૂ કરી હતી. પરંતુ દાણચોરીની સાથે તેણે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો અને જાતિના સમીકરણો એવી રીતે બનાવ્યા કે તે રાજપૂતોનો હીરો બની ગયો.
એવું કહેવાય છે કે આનંદપાલે પહેલા તેના નજીકના મિત્ર જીવન રામની હત્યા કરી હતી. ખરેખર આનંદપાલે મદનસિંહ રાઠોડની હત્યાનો બદલો લીધો હતો. એવું કહેવામાં આવે છે કે સૈનિક મદન સિંહની જીવન રામ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાએ જાતિય રૂપ ધારણ કર્યું હતું અને આખો મામલો રાજપૂત સામે જાટમાં ફેરવાઈ ગયો હતો. અને આનંદપાલે રાજપૂતોના ‘આદર’ માટે આ બદલો લીધો હોવાનું માનવામાં આવે છે.
પછી એક પછી એક હત્યાઓ અને દરેક હત્યા સાથે તેનું નામ મોટું થતું ગયું. તેમની મહત્વાકાંક્ષા લિકર કિંગ બનવાની હોવાનું કહેવાય છે. જેના કારણે તે વિરોધી ગેંગ સાથે હંમેશા લડતો રહ્યો. તેના દુશ્મનો પણ મોટા પ્રમાણમાં ઉભા થવા લાગ્યા હતા.
2015માં બિકાનેર જેલમાં તેની સાથે ગેંગવોર પણ થઈ હતી. જેમાં આનંદપાલને પણ ગોળી વાગી હતી. પહેલા તે બિકાનેર અને ત્યારબાદ અજમેર જેલમાં બંધ હતો. 3 સપ્ટેમ્બર 2015ના રોજ આનંદપાલ અને તેના સહયોગી સુભાષ મુંડને નાગૌર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ વાનમાં ફરી તેને અજમેર સેન્ટ્રલ જેલમાં લઈને પોલીસ પરત ફરતી હતી એવા વખતે આનંદપાલે પોલીસકર્મીઓને દવા વાળી મીઠાઇઓ ખવડાવી જેના કારણે તેઓ નશામાં આવી ગયા અને એવામાં તેના સાથીઓએ ગોળીબાર કરીને ફિલ્મી સ્ટાઈલમાં તેને ભગાડીને લઈ ગયા. આમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો. તમામ પોલીસ વિભાગની સક્રિયતા હોવા છતાં તે કોઈના હાથમાં આવ્યો ન હતો.
21 મહિનાથી ફરાર રહેલા આનંદપાલને પકડવામાં નિષ્ફળતા પોલીસને ભારે પડી હતી. ત્યારબાદ અચાનક 24 જૂન2017ના રોજ રાત્રે 11.30 વાગ્યે સમાચાર આવ્યા કે આનંદપાલ એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. રાજસ્થાનના ચુરુ જિલ્લાના રજતનગર વિસ્તારમાં માલાસર ગામમાં હાઇવે પાસે બે માળનું મકાન. ઘરની આસપાસ પોલીસ અને એસઓડી ટીમોએ ઘેરાયેલ હતી. પોલીસના જણાવ્યા મુજબ મોસ્ટ વોન્ટેડ ગુનેગાર આનંદપાલસિંઘને કાર્યવાહી કરતા પહેલા શરણાગતિની ચેતવણી આપવામાં આવી હતી. જવાબમાં આનંદપાલે એકે 47થી ફાયરિંગ શરૂ કર્યું. પોલીસ અને એસઓજીએ જવાબી કાર્યવાહી કરી જેમાં આનંદપાલ માર્યો ગયો.
આ પણ વાંચો:Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી