Ahmedabad: હત્યાની કોશિશ થઈ હોવાની ફિલ્મી સ્ટોરી બનાવનાર વ્યક્તિ પોતે જ નીકળ્યો આરોપી, પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા હકકીત આવી સામે, જાણો સમગ્ર ઘટના
ફિલ્મ સ્ટોરીને ટક્કર મારે એવી ઘટના અમદાવાદ શહેરના રામોલ પોલીસસ્ટેશનના ચોપડે નોંધાઈ છે.

Ahmedabad: પોલીસ અધિકારીઓ જો નિપુણતાથી ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આવો જ એક દાખલારૂપ અમદાવાદમાં કિસ્સો સામે આવ્યો છે. જેમાં હત્યાની કોશિશની ફરિયાદ આપનાર વ્યક્તિ જ ખોટો નીકળ્યો છે. અને મિત્ર સાથે જતા જતા નશામાં હોવાથી અકસ્માત થતા મિત્રનું મૃત્યુ થયું હોવાનો રાઝ પોલીસે તપાસમાં ખુલી ગયો. શું છે આ ફિલ્મી કહાની જોઈએ આ અહેવાલમાં.
જી હા, ફિલ્મ સ્ટોરીને ટક્કર મારે એવી ઘટના શહેરના રામોલ પોલીસસ્ટેશનના ચોપડે નોંધાઈ છે. અમદાવાદના રામોલ પોલોસે ચેતન શ્રીમાળી નામના વ્યક્તિ સામે ગફલતભરી રીતે વાહન હંકારી મૃત્યુ નિપજાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વાત બે માસ પહેલાની છે, જ્યારે ચેતન તેના મિત્ર સુનિલ ને બાઇક પર બેસાડી રામોલ વિસ્તારમાં આવેલા બ્રિજ પરથી પસાર થતો હતો. ત્યારે અચાનક તેની પાસે શખશો આવ્યા અને તેઓએ હથિયારથી હુમલો કરતા બને મિત્રો ઇજાગ્રસ્ત થયા.
બંનેને સારવાર હેઠળ ખસેડાયા. જ્યાં ચેતન એ નિવેદન પણ નોંધાવ્યું અને હત્યાની કોશિશની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે પોલીસને ચેતનની વાત પર ભરોસો ન હોતો. જેથી તેને સ્થળ તપાસ માટે લઈ જવાયો અને ઉલટ તપાસ કરી. ઉલટ તપાસ અને પોલીસે શાણપણ વાપરી પૂછપરછ કરી તો ચેતન જ નીકળ્યો આરોપી.
હકીકત એવી સામે આવી કે, ચેતન અને તેનો મિત્ર દારૂ પીને બાઇક લઈને જતા હતા. વરસાદ પડતા બાઇક સ્લીપ ખાઈ ગયું અને તેમાં બ્રિજની દીવાલ અને રેલિંગ સાથે બને અથડાયા. બાદમાં બંનેને સારવાર અર્થે ખસેડાયા પણ ત્યાં ચેતન હોશમાં નહોતો અને તેના પર કાર્યવાહી થશે તેવો ડર લાગ્યો હતો. જેથી તેણે અજાણ્યા શખશો આવ્યા અને હુમલો કરી હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી હતી.
પણ પોલીસ કઈ મૂર્ખ નહોતી, શરૂઆતથી જ ચેતનની વાત પર અવિશ્વાસ આવતો હતો. જેથી પોલોસે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું. નિવેદનમાં અલગ અલગ વાતો, સ્થળ પર લઈ જતા અલગ અલગ વાતો સામે આવતા પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચેતન એ પીધેલી હાલતમાં ગફલતભરી રીતે બાઇક હંકારતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું. આ ઘટનામાં તેના મિત્રનું સારવાર દરમિયાન મૃત્યુ પણ થયું હતું. જેથી પોલીસે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવનાર સામે જ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અનેક વાર એવું બનતું હોય છે કે, કેટલાક લોકો ગભરાઈ જતા હોવાના કારણે અથવા સામે પક્ષના લોકો સાથે બદલો લેવા ખોટી ફરિયાદ નોંધાવતા હોય છે. પણ પોલીસ આ જ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરી હકીકત સામે લાવતી હોય છે. જેથી આવા લોકો માટે અને પોલીસ વિભાગ માટે આ દાખલારૂપ કિસ્સો સાબિત થયો છે. આવનાર દિવસોમાં આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરાશે.