Corona Update: કોરોનાએ ફરી બનાવ્યો ચિંતાજનક રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આ વર્ષના સૌથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 43,846 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષેના એટલે કે 2021ના આંકડામાં સૌથી વધુ આંકડા છે.
દેશમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. ફરી એક વાર ચિંતાજનક વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. એક તરફ કોરોના વેક્સિનેશનનું કામ ચાલુ છે તો બીજી તરફ કોરોના આકરો બન્યો છે. અને આ કારણે કેન્દ્ર સરકાર સતત રાજ્યોને સાવચેતી રાખવા અપીલ કરી રહી છે. રવિવારે કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 43,846 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષેના એટલે કે 2021ના આંકડામાં સૌથી વધુ આંકડા છે. આ અગાઉ શનિવારે કોરોનાના 40,953 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં સંક્રમિત કેસની સંખ્યા વધીને 1,15,99,130 થઈ ગઈ છે.
તે જ સમયે છેલ્લા 24 કલાકમાં 196 લોકોનાં મોત નીપજ્યાં છે. જેના કારણે દેશમાં કોરોનાના કારણે મૃત્યુ થનારાના આંકની સંખ્યાવધીને 1,59,755 પર પહોંચી ગઈ છે. હાલમાં ભારતમાં સક્રિય કેસની સંખ્યા 3 લાખથી ઉપર પહોંચી ગઈ છે. આ દરમિયાન દેશમાં એક દિવસમાં 22,956 લોકો કોરોનાથી રીકવરી મેળવી ચુક્યા છે. આ આંક સાથે જ કોરોનાથી અત્યાર સુધીમાં 1,11,30,288 લોકો સાજા થયા છે. દેશનો રિકવરીનો દર ઘટીને 95.9 ટકા થઇ ગયો છે. અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તામિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં દરરોજ કોરોના સંક્રમીતોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.
મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળમાં સૌથી વધુ અસર
મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત આઠ રાજ્યોમાં કોરોના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ કોરોનાના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે દેશ ફરી એક વાર મહામારીની સ્થિતિ તરફ પાછો ફરી રહ્યો છે. આ રાજ્યોમાં ગુજરાત સહીત મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને હરિયાણાના નામ શામેલ છે, જ્યારે કેરળમાં ચેપના કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ ચિંતાજનક સ્થિતિ બની રહી છે.
કોરોનાવાયરસની બીજી તરંગની સંભાવના
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં કોરોનાના કુલ સક્રિય કેસમાંથી માત્ર 76.22 ટકા મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબના છે. તેમાંથી મહારાષ્ટ્રનો પણ સૌથી મોટો હિસ્સો (62 ટકા) અને કેરળનો હિસ્સો 8.83 ટકા છે. આ ઉપરાંત પંજાબમાં 5.36 ટકા છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાથી થયેલા નવા મૃત્યુ પૈકી 81.38 ટકા લોકો માત્ર પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્ર પણ આમાં મોખરે છે. દરમિયાન નિષ્ણાતોએ દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરનો ડર વ્યક્ત કર્યો છે.