SBIનો Q2 નફો 74 ટકા વધીને રૂ. 13,265 કરોડ થયો, સંપત્તિમાં પણ સુધારો જોવા મળ્યો
SBI ગ્રૂપની કુલ આવક પણ ક્વાર્ટરમાં વધીને રૂ. 1,14,782 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,01,143.26 કરોડ હતી.
દેશની સૌથી મોટી બેંક SBIએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 13,265 કરોડનો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 74 ટકા વધુ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શનિવારે સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે બેડ લોન માટે નાણાકીય જોગવાઈમાં ઘટાડો અને વ્યાજની આવકમાં વધારો થવાને કારણે તેનો નફો વધ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ધોરણે બેન્કનો નફો રૂ. 7,627 કરોડ હતો.
બેંકની કુલ આવક પણ ક્વાર્ટરમાં વધીને રૂ. 88,734 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 77,689.09 કરોડ હતી. SBIની ચોખ્ખી વ્યાજ આવક (NII) અગાઉના ક્વાર્ટરમાં 13 ટકા વધીને રૂ. 35,183 કરોડ થઈ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 31,184 કરોડ હતી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કની સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. તેની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 4.90 ટકાથી ઘટીને 3.52 ટકા થઈ ગઈ છે.
ચોખ્ખી એનપીએ અથવા બેડ લોનનો ગુણોત્તર પણ કુલ એડવાન્સ ડિપોઝિટના 0.80 ટકા પર આવી ગયો છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આ ગુણોત્તર 1.52 ટકા હતો. આના કારણે બેડ લોન માટે નાણાકીય જોગવાઈની જરૂરિયાતમાં ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા બેંકે બેડ લોન માટે રૂ. 2,699 કરોડની જોગવાઈ કરવાની હતી, પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ રકમ ઘટીને રૂ. 2,011 કરોડ થઈ ગઈ હતી. કોન્સોલિડેટેડ ધોરણે, બેન્કનો ચોખ્ખો નફો 66 ટકા વધીને રૂ. 14,752 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 8,890 કરોડ હતો.