પાકિસ્તાન હવે અંધારામાં રહેશે, સરકારે રાત્રે 9 વાગ્યા પછી લાઇટ બંધ કરવાના આપ્યા આદેશ
પાકિસ્તાનની સિંધ સરકારે તમામ બજારો, દુકાનો અને શોપિંગ મોલને રાત્રે 9 વાગ્યા સુધીમાં અને લગ્ન હોલ અને રેસ્ટોરન્ટને રાત્રે 10.30 વાગ્યા સુધીમાં બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પાકિસ્તાનન(Pakistan)માં વીજળીનું સંકટ ઘેરૂ બની રહ્યું છે અને દેશની હાલત શ્રીલંકા (Sri Lanka) જેવી જ થઈ રહી છે. પાકિસ્તાન સરકાર ઈંધણનો ખર્ચ બચાવવા માટે બજારો ખોલવાની સમયમર્યાદા નક્કી કરી રહી છે. સરકારે કરાચીના બજારો સમય પહેલા બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જો કે, આના કારણે વેપારીઓની આવક પર ખરાબ અસર થવાની સંભાવના છે. તમામ વેપારીઓના મતે કરાચીમાં સાંજથી મોડી રાત સુધી ધંધાની ટોચ છે, પરંતુ બજાર બંધ રહેવાના કારણે આવકને અસર થશે. તે જ સમયે, સરકારની દલીલ છે કે આ પગલાથી વીજળી પરનો ભાર ઓછો થશે અને ઇંધણ પરનો ખર્ચ ઘટશે. અગાઉ શ્રીલંકામાં ઇંધણની કિંમત ઘટાડવા માટે આવી જ જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે ત્યાં પણ સ્ટ્રીટ લાઇટની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં ઉર્જા સંકટ
પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ સાથે ઈંધણના ભાવમાં તીવ્ર ઉછાળાને કારણે દેશમાં ઉર્જા સંકટ વધી રહ્યું છે. સ્થિતિ એ છે કે સિંધ પ્રાંતની સરકારે ઈંધણ અને ઉર્જા બચાવવા માટે કરાચીના તમામ શોપિંગ મોલ, બજારો, મેરેજ હોલ અને રેસ્ટોરન્ટને વહેલા બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેના કારણે કરાચીની પ્રખ્યાત નાઈટલાઈફ અને બિઝનેસમેનને ભારે નુકસાન થઈ રહ્યું છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું કે આપણે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છીએ અને અમારે એવા પગલાં લેવાની જરૂર છે જે કદાચ લોકોને પસંદ ન આવે પરંતુ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે જરૂરી છે.
સરકારે તમામ બજારો, દુકાનો અને શોપિંગ મોલ રાત્રે 9 વાગ્યા સુધીમાં અને લગ્ન હોલ અને રેસ્ટોરાં રાત્રે 10.30 વાગ્યા સુધીમાં બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલાં માત્ર બળતણ અને વીજળીનો બગાડ ઘટાડવા માટે જ નહીં, પરંતુ વર્તમાન વીજ અછત અને લોડ શેડિંગનો ઉકેલ શોધવા માટે પણ લેવામાં આવી રહ્યા છે જેથી વીજળીની માગ અને પુરવઠા વચ્ચેના અંતરને ઘટાડી શકાય.
વેપારમાં ખરાબ અસર પડી શકે છે
સરકારના આ નિર્ણયની અસર વેપારીઓ પર જોવા મળી શકે છે. હકીકતમાં, વધતી ગરમી અને ઇંધણની કટોકટીના કારણે, દિવસના સમયે પહેલેથી જ વીજ કાપ છે, જે વ્યવસાયને અસર કરી રહ્યો છે. સાથે સાથે રાત્રીના સમયે પણ નિયમોના અમલને કારણે વેચાણમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. અત્યારે રૂપિયામાં તીવ્ર ઘટાડા વચ્ચે પાકિસ્તાન મોંઘા ક્રૂડના દબાણનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ હવામાનમાં પલટાને કારણે સ્થિતિ પણ વણસી છે.