કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) રવિવારે ખાતરી આપી હતી કે ઈ-કોમર્સ નીતિ ઘડતી વખતે દરેક હિસ્સેદારોની ચિંતા ધ્યાનમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ ડ્રાફ્ટ ઈ-કોમર્સ નિયમો પર તમામ પક્ષોની સલાહને આવકારશે, પરંતુ ડ્રાફ્ટ નિયમો અંગે વિભાગો વચ્ચેના મતભેદો અંગેની ટિપ્પણીઓ સંપૂર્ણપણે નકારાત્મક છે.
ઈ-કોમર્સ નિયમોના મુસદ્દાઓની કેટલીક જોગવાઈઓને લઈને ઉદ્યોગ અને વેપારને પ્રોત્સાહન આપનારા વિભાગ (DPIIT), કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને નીતિ આયોગ વચ્ચે મતભેદ હોવાના સમાચાર બાદ ગોયલે આ વાત કહી હતી. રિપોર્ટમાં આરટીઆઈને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નીતિ આયોગે ડ્રાફ્ટ નિયમોના અમલીકરણને કારણે વેપારમાં સરળતામાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી છે. ગોયલે કહ્યું, “હું ડ્રાફ્ટ નિયમો પરના તમામ પ્રતિસાદનું સ્વાગત કરું છું. તમામ હિસ્સેદારો સાથે ખૂબ જ મજબૂત અને સ્વસ્થ પરામર્શની પણ આશા કરૂ છું. ”
તેમણે કહ્યું અમે બધાના હિતોને સંતુલિત કરવાનો અને એક મજબૂત માળખું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેમાં આ નીતિ તમામ ભારતીયોના હિતમાં લાગુ કરી શકાય. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ડ્રાફ્ટ નિયમો બહાર પાડવાનો હેતુ હિસ્સેદારોના મંતવ્યો, અન્ય વિભાગોના મંતવ્યો મેળવવા અને પ્રતિસાદને પ્રોત્સાહિત કરવાનો છે. તેમણે કહ્યું કે સરકાર હંમેશા કોઈપણ નીતિ પર અંતિમ નિર્ણય લેતા પહેલા તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં માને છે.
ડેટા પ્રાઈવસી લો, નેશનલ એજ્યુકેશન પોલિસી અને જ્વેલરી હોલમાર્કિંગ ધારાધોરણોના ઉદાહરણો આપતા તેમણે કહ્યું કે સરકાર યોગ્ય નિર્ણય લેવા માટે હિસ્સેદારો સાથે પરામર્શ કરે છે.
આ પણ વાંચો : બ્રોડબેન્ડની દુનિયામાં એરટેલ, જિયોને જોરદાર ટક્કર આપશે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, ગ્રામીણ ભારતથી કરશે તેની શરૂઆત
Published On - 11:59 pm, Sun, 3 October 21