નેશનલ મોનીટાઈઝેશન પ્રોગ્રામને લઈને રાહુલ ગાંધી પર ભડક્યા નીર્મલા સીતારમણ, પૂછ્યું- શું ‘જીજાજી’ છે નવી દિલ્હી સ્ટેશનના માલિક?
મુંબઈમાં મીડિયાને સંબોધતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ મોનીટાઈઝેશન પાઈપલાઈન (NMP Program) અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા હતા. સીતારામને કહ્યું કે શું રાહુલ ગાંધી મોનીટાઈઝેશનનો સાચો અર્થ જાણે છે.
સોમવારે એટલે કે 23 ઓગસ્ટના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 6 લાખ કરોડના નેશનલ મોનીટાઈઝેશન પાઈપલાઈન (NMP) પ્રોગ્રામ રજૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ એરપોર્ટ, રોડ, રેલવે સ્ટેશનથી સ્ટેડિયમ સુધી મોનીટાઈઝેશન કરવામાં આવશે. સરકારની આ જાહેરાત પર કોંગ્રેસ સહિત વિપક્ષ સતત હુમલાઓ કરી રહ્યો છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે NMP કાર્યક્રમની ટીકા કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 6 લાખ કરોડ રૂપિયાની મુદ્રીકરણ પાઈપલાઈનની ટીકા કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે શું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આવી પહેલ અંગે કોઈ જાણકારી છે? નાણામંત્રીએ મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એ કોંગ્રેસ જ હતી જેણે જમીન અને ખાણો જેવા સંસાધનો વેચવા માટે “લાંચ” મેળવી હતી.
તેમણે યાદ કરાવ્યું કે કોંગ્રેસની આગેવાનીવાળી સરકારોએ મુંબઈ-પૂણે એક્સપ્રેસ-વેનું મુદ્રીકરણ (મોનીટાઈઝેશન) કરીને રૂ .8,000 કરોડ એકત્ર કર્યા હતા અને 2008માં યુપીએ સરકારે નવી દિલ્હી રેલવે સ્ટેશન ભાડે આપવા માટે વિનંતી પત્ર (RFP) દ્વારા આમંત્રિત કર્યા હતા.
નવી દિલ્હી સ્ટેશન ‘જીજાજી’ની માલિકી ધરાવે છે
સીતારમણે રાહુલ ગાંધીની એ ઘટનાને યાદ કરી હતી, જ્યારે તેઓ સહમત ન હતા અને તેમણે (ગાંધીએ) વટહુકમની નકલ ફાડી નાખી હતી. આ ઘટનાના સંદર્ભમાં સીતારમણે પૂછ્યું કે રાહુલ ગાંધીએ રેલવે સ્ટેશન ભાડે આપવાના પ્રસ્તાવ પરના દસ્તાવેજોને કેમ ફાડ્યા નથી? “જો તે ખરેખર મુદ્રીકરણની વિરુદ્ધ છે તો રાહુલ ગાંધીએ નવી દિલ્હી રેલવે સ્ટેશનના મુદ્રીકરણ આરએફપીને શા માટે ફાડ્યા ન હતા? જો આ મુદ્રીકરણ છે તો શું તેઓએ નવી દિલ્હી રેલવે સ્ટેશન વેચી દીધુ છે? શું હવે તેની માલિકી જીજાજી પાસે છે?
કોમનવેલ્થ ગેમ્સની પણ યાદ અપાવી
શું તેઓ જાણે છે કે મુદ્રીકરણ શું છે? તેમણે કોંગ્રેસને કોમનવેલ્થ ગેમ્સની યાદ પણ અપાવી. સીતારમણે ફરીથી જણાવ્યું કે સંપત્તિ મુદ્રીકરણ યોજનામાં સંપત્તિ વેચવામાં આવતી નથી, તેમજ સંપતી સરકારને પરત પણ સોંપવામાં આવશે.
નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન પ્રોગ્રામ હેઠળ ઘણા વિસ્તારોમાં સરકારી મિલકતોનો અમુક ટકા હિસ્સો વેચીને અથવા મિલકતને ભાડે આપીને કુલ 6 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય છે. સોમવારે તેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ રજૂ કરતા નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે લીઝિંગ પ્રક્રિયા 4 વર્ષ સુધી એટલે કે 2025 સુધી ચાલશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે જે રસ્તાઓ, રેલવે સ્ટેશન અથવા એરપોર્ટને લીઝ પર આપવામાં આવશે, તેની માલિકી સરકાર પાસે જ રહેશે. તેમજ લીઝ માટે એક નિશ્ચિત સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી હશે. ત્યારબાદ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માલિકી સરકાર પાસે પરત આવી જશે.