MONEY9: NPSમાં થયા કેટલાક મોટા ફેરફાર, જાણો કેટલો થશે ફાયદો
પેન્શન નિયમનકાર PFRDAએ નેશનલ પેન્શન સ્કીમ (NPS)નું આકર્ષણ વધારવા માટે કેટલાક ફેરફાર કર્યાં છે. આ ફેરફારથી NPSના ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે, તે જાણવા માટે જુઓ આ વીડિયો.
MONEY9: આજની ભાગદોડભરી જિંદગીની આંટીઘૂંટીમાં એક સામાન્ય માણસ એવો ગૂંચવાઈ જાય છે કે તેને પોતાના જીવનના સૌથી મહત્ત્વના સમય એટલે કે રિટાયરમેન્ટ (RETIREMENT) લાઈફ માટે વિચારવાનો કે પ્લાનિંગ કરવાનો મોકો પણ નથી મળતો. ઘર-પરિવારની જવાબદારી પૂરી કરવાના અને બે છેડા ભેગા કરવાની પળોજણમાંથી માણસ નવરો પડે તેની પહેલા તો રિટાયરમેન્ટ લાઈફ શરૂ થઈ જાય છે અને આખરે સંતાનો પર નિર્ભર રહેવાનો વારો આવે છે.
ઘડપણના દિવસો આરામથી અને મોજથી પસાર થાય તે માટે નિયમિતપણે આવક થવી જરૂરી છે. આ સમસ્યાનું નિરાકરણ ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ એટલે કે NPS સ્કીમ થકી આવી શકે છે. ‘નિરાંતનો શ્વાસ’ના આ કાર્યક્રમમાં અમે NPSના નિયમોમાં થયેલા ફેરફારની માહિતી આપી રહ્યાં છીએ.
NPS શું છે?
નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS એક સરકારી રિટાયરમેન્ટ સ્કીમ છે. કેન્દ્ર સરકારે વર્ષ 2004ની પહેલી જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ માટે તેની શરૂઆત કરી હતી. જોકે લશ્કરના સ્ટાફને તેનાથી બાકાત રાખવામાં આવ્યો છે. હવે આ યોજનામાં ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓને પણ આવરી લેવાયા છે. NPSનું નિયમન PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી કરે છે.
નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટના 31 મે-2022 સુધીના આંકડા અનુસાર NPS સ્કીમ સાથે 1.59 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે અને તેમાં હજુ ઉમેરો થઈ રહ્યો છે. NPSમાં રોકાણ કરવાથી ટેક્સ બચાવવામાં પણ મદદ મળે છે. NPSનું આકર્ષણ વધે અને મહત્તમ લોકો તેનો લાભ લે તે માટે તેના નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
સ્કીમમાં થયા આ ફેરફાર
PFRDAના ચેરમેને તાજેતરમાં જણાવ્યું હતું કે હવેથી NPSના સબ્સક્રાઈબર એક નાણાકીય વર્ષમાં ચાર વખત એસેટ અલોકેશનમાં ફેરફાર કરી શકશે. અત્યાર સુધીમાં NPSની ઈન્વેસ્ટમેન્ટ પેટર્નમાં બે વખત ફેરફાર કરવાની છૂટ હતી. NPS હેઠળ તમે ઈક્વિટી, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરી શકો છો અને મિનિમમ ગેરન્ટીડ રિટર્ન મળે તેવા સાધનોમાં પણ રોકાણ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. અપેક્ષા છે કે સપ્ટેમ્બર સુધીમાં આ નિયમો જાહેર થઈ જશે.
નાણાકીય વર્ષ 2022-23થી રાજ્ય સરકારોના કર્મચારીઓ માટેના નિયમમાં ફેરફાર લાગુ થયો છે, જે અંતર્ગત સરકારી કન્ટ્રીબ્યુશન પર મળતી ટેક્સ ડિડક્શન લિમિટ વધારીને 14 ટકા થઈ છે. અગાઉ આ લિમિટ 10 ટકા હતી. આમ, હવેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એકસમાન નિયમ અમલી થયો છે.
ક્યારે ખોલાવી શકાય ખાતુ
NPSમાં ખાતુ ખોલાવવાની મહત્તમ ઉંમર પણ વધારીને 70 વર્ષ કરવામાં આવી છે. એટલે હવે 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીની વ્યક્તિ પણ NPS ખાતુ ખોલાવી શકે છે. અગાઉ આ મર્યાદા 18 વર્ષથી 65 વર્ષની હતી. જો કોઈ વ્યક્તિ 65થી 70 વર્ષની ઉંમરમાં NPSમાં ખાતુ ખોલાવે તો તે 75 વર્ષ સુધી ખાતુ ચાલુ રાખી શકે છે.
18 વર્ષથી 60 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ 60 વર્ષ કે ત્યારપછીની ઉંમરે NPSમાંથી નોર્મલ એક્ઝિટ લઈ શકે છે. આવી રીતે એક્ઝિટ લેવા માટે તેણે પોતાના ભંડોળના 40 ટકા હિસ્સાની એન્યુટી ખરીદવી પડશે અને બાકીની રકમ એકસાથે ઉપાડવાની રહેશે. જોકે, 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછું ભંડોળ હશે તો, વ્યક્તિ સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી શકે છે. 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ NPSમાં ખાતુ ખોલાવે તો, 3 વર્ષનો લૉક-ઈન પીરિયડ લાગુ થશે અને આ પીરિયડ પૂરો થયા પછી જ તે પૈસા ઉપાડી શકશે.
એન્યુટીનો નિયમ
ખાનગી સેક્ટરના કર્મચારીએ NPS સ્કીમમાં 10 વર્ષ સુધી જોડાયેલા રહેવું જરૂરી છે. આ સમયગાળો પૂરો થયા પછી તે પ્રિ-મેચ્યોર એક્ઝિટ લઈ શકે છે. તેના માટે ખાતાધારકે પોતાના ભંડોળના 80 ટકા હિસ્સાની એન્યુટી ખરીદવી પડશે અને બાકીની રકમ એકસાથે ઉપાડવાની રહેશે. એન્યુટી ખરીદવાથી તેને નિયમિત પેન્શન મળતું રહેશે. આવા કિસ્સામાં જો 2.5 લાખ રૂપિયા કરતાં ઓછું ભંડોળ હશે તો ગ્રાહક સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી શકશે.
નિષ્ણાતનો અભિપ્રાય
સેબી-રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જિતેન્દ્ર સોલંકી કહે છે કે મોંઘવારીને નજરમાં લઈએ તો NPSમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે. આ સ્કીમ તમને સારું વળતર આપવા સક્ષમ છે. લાંબા ગાળે 10 ટકાથી 12 ટકા વળતર છૂટે છે. NPSનો વ્યાપ વધારે ન હોવાનું એક મુખ્ય કારણ એન્યુટી છે, કારણ કે, તમારે ભંડોળનો ઓછામાં ઓછો 40 ટકા હિસ્સો એન્યુટીમાં નાખવો પડે છે.