શું Ola અને Uber નું મર્જર થઇ રહ્યું છે ? સાંભળો Ola ના Ceo ભાવિશ અગ્રવાલનો જવાબ
ઓલાના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે શુક્રવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ઓલા અને ઉબેર સંભવિત મર્જરની વિચારણા ચાલી રહી છે.
ઓલા(OlA) અને ઉબેર (Uber)ટૂંક સમયમાં એક થઈ શકે છે તેવા અહેવાલ વહેતા થયા છે. બંને કંપનીઓ વચ્ચે મર્જરને લઈને વાટાઘાટો ચાલી રહી હોવાની વિગતો જાણવા મળી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ બાબતની જાણકારી ધરાવતા બે સૂત્રોએ તેમને જણાવ્યું કે ઓલાના કો – ફાઉન્ડર અને સીઈઓ ભાવિશ અગ્રવાલ તાજેતરમાં યુ.એસ. સ્થિત સાન ફ્રાન્સિસ્કોમાં ઉબેરના ટોચના અધિકારીઓને મળ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે બંને કંપનીઓએ અગાઉ પણ ચાર વર્ષ પહેલાં વાટાઘાટો કરી હતી જ્યારે બંનેમાં સામાન્ય રોકાણકાર, સોફ્ટબેંકે મર્જરનો આગ્રહ કર્યો હતો. તે સમયે બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ શકી ન હતી.
આ સામે ઓલાના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે શુક્રવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ઓલા અને ઉબેર સંભવિત મર્જરની વિચારણા ચાલી રહી છે. તેમને પોસ્ટ કર્યું કે અમે ખૂબ જ નફાકારક છીએ અને સારી રીતે વૃદ્ધિ પામીએ છીએ. જો કેટલીક અન્ય કંપનીઓ ભારતમાંથી તેમના વ્યવસાયમાંથી બહાર નીકળવા માંગતી હોય તો તેમનું સ્વાગત છે! અમે ક્યારેય મર્જર કરીશું નહીં.
Absolute rubbish. We’re very profitable and growing well. If some other companies want to exit their business from India they are welcome to! We will never merge. https://t.co/X3wC9HDrnr
— Bhavish Aggarwal (@bhash) July 29, 2022
બંને કંપનીઓ સામે પડકારો
મીડિયા રિપોર્ટ મુજબ ઓલા અને ઉબેર વચ્ચે તાજેતરના મહિનાઓમાં ફરી વાતચીત શરૂ થઈ છે જ્યારે આ બંને કંપનીઓ વૃદ્ધિમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ભારતીય બજારમાં કેબ સર્વિસ કંપનીઓ એકબીજા સાથે સખત સ્પર્ધા ધરાવે છે. બંને કંપનીઓએ ડ્રાઇવરોને પ્રોત્સાહન આપવા અને મુસાફરોને ડિસ્કાઉન્ટ ઓફર કરવા માટે અબજો ડોલરનો ખર્ચ કર્યો છે.
જો કે, તાજેતરના વર્ષોમાં સ્પર્ધા ઓછી થઈ છે કારણ કે મહામારીએ ભારતમાં એપ્લિકેશન-આધારિત કેબ સેવાઓની માંગને નુકસાન પહોંચાડ્યું છે. બંને કંપનીઓએ ભારતમાં તેમની કામગીરીમાં ઘટાડો કર્યો છે.
ઓલાએ કર્મચારીઓની છટણી કરી હતી
ઓલાએ તેની ઝડપી ડિલિવરી અને યુઝ્ડ કાર બિઝનેસ બંધ કરી દીધો છે. હવે કંપનીએ નાની ટીમ સાથે કોર મોબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં ઓલાએ પણ કર્મચારીઓની છટણી કરી હતી જેમાં લગભગ 500 કર્મચારીઓની વાત કરવામાં આવી રહી છે.
દરમિયાન એક મહિના પહેલા ઉબરે વેચાણના કોઈપણ સમાચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. તે સમયે એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કંપનીએ એક વર્ષ પહેલા તેનું ભારતીય યુનિટ વેચવાનું વિચાર્યું હતું.