સમગ્ર વિશ્વમાં મોંઘવારી (inflation) અંગે ચિંતા વધી રહી છે ત્યારે ભારતીય નાગરિકો વ્યકિતગત સંભાળ, કપડાં, વાહનો, મોજ મસ્તી માટે ટ્રાવેલ અને હવાઈ મુસાફરી જેવી વસ્તુઓ પર ખર્ચ કરવાનું આયોજન કરી રહ્યા છે. ડેલોઈટ ટચ ટોમાત્સુ ઈન્ડિયાના (Deloitte Touch Tomatsu India) સર્વેના પરિણામો અનુસાર વધતી જતી મોંઘવારીના યુગમાં પણ ભારતના લોકો સંતુલિત જીવનને પ્રાથમિકતા આપી રહ્યા છે અને તેઓ તેના માટે ખર્ચ કરવા પણ તૈયાર છે. જો કે ભારતીયો તેમના ભવિષ્ય માટે બચત (saving) કરવા પર પણ પૂરતું ધ્યાન આપી રહ્યા છે.
આ સર્વે કહે છે કે રસીકરણ ઝુંબેશની ઝડપ વધવાથી અને સકારાત્મક ગ્રાહક સેન્ટિમેન્ટને કારણે લોકોની આ વિચારસરણીમાં બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં લગભગ 77 ટકા સહભાગીઓ આગામી ત્રણ વર્ષમાં તેમની નાણાકીય સ્થિતિ વિશે આશાવાદી છે. ડેલોઈટે સોમવારે વૈશ્વિક ઉપભોક્તા સેન્ટિમેન્ટ પર તેનો તાજેતરનો સર્વે રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તે 1,000 સહભાગીઓના પ્રતિભાવોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સહિત કુલ 23 દેશમાં ડેલોઈટે એક એક હજાર સહભાગીઓ વચ્ચે આ સર્વે હાથ ધર્યો હતો.
આ રિપોર્ટ કહે છે “ભારતના 74 ટકા લોકો મોંઘવારીને લઈને ચિંતિત છે. પરંતુ આ સાથે જ 85 ટકા લોકો આગામી ચાર અઠવાડિયામાં ફરવા જવાનું પણ વિચારી રહ્યા છે. આ સિવાય 68 ટકા સહભાગીઓ રેસ્ટોરન્ટમાં જવાનું સુરક્ષિત માની રહ્યા છે.” જ્યારે સર્વેમાં સામેલ મોટાભાગના દેશોના લોકો મોંઘવારી અંગે ચિંતિત છે, ત્યારે 77 ટકા ભારતીય ગ્રાહકો એ વાતને લઈને આશાવાદી છે કે આગામી ત્રણ વર્ષમાં તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
સર્વે અનુસાર 14 ટકા ભારતીયો પર્સનલ કેર અને કપડાની ખરીદી પર ખર્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે, જ્યારે 14 ટકા લોકો મોજ-મસ્તી, મનોરંજન અને મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે. લગભગ 11 ટકા લોકો ઈલેક્ટ્રોનિક્સ અને ઘર સજાવટની વસ્તુઓ ખરીદવાનું પણ વિચારી રહ્યા છે.