આજે જ અજમાવો શનિદેવ સંબંધી આ સરળ ઉપાય, જીવનમાં શુભ સમયની થઈ જશે શરૂઆત !
તમારા દ્વારા કરવામાં આવેલ કર્મનું ફળ શનિદેવ જરૂરથી તમને આપે જ છે ! એટલે, શનિદેવના દુષ્પ્રભાવથી બચવા જળમાં ગોળ કે સાકર મિશ્રિત કરીને તે જળ શનિવારના દિવસે પીપળાના વૃક્ષમાં અર્પણ કરવું. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.
શનિદેવનું નામ સાંભળતા જ આપણે ગભરાઇ જઇએ છીએ. અત્યારના સમયમાં જીવનમાં કોઇપણ પરેશાની, સંકટ, દુર્ઘટના, આર્થિક નુકસાન, અપમાન જેવી કોઇ ઘટના ઘટે તો આપણને તેના મૂળમાં શનિદેવ(Shani Maharaj) હોય તેવો જ ડર લાગે છે. પરંતુ, શું આ વાત સત્ય છે ? નિશ્ચિત રીતે શનિદેવ દંડના સ્વામી છે. શનિ કર્મના દેવતા છે અને તમારા દ્વારા કરવામાં આવેલ કર્મનું ફળ શનિદેવ જરૂરથી તમને આપે જ છે. એટલે જ ગ્રહોની ચાલમાં શનિને લઇને ગભરાવવાની જરૂર નથી. શનિદેવને મનાવવા માટે કેટલાક સરળ ઉપાયો છે જે કરવાથી કુંડળીના દોષો દૂર કરી શકાય છે. જીવનમાં કેટલીક તકલીફો એવી હોય છે જેના કારણે તમે હેરાન પરેશાન થઇ જતા હોવ છો. ત્યારે શનિદેવને મનાવવા માટે તેમજ તેમને પ્રસન્ન કરવા માટેના કેટલાક સરળ ઉપાયો અમે આજે આપને જણાવવા જઇ રહ્યા છીએ.
માતા-પિતાનું સન્માન
શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે માતા-પિતાનું સન્માન કરવું જોઇએ. તેમની સેવા ચાકરી કરવી જોઇએ. જો તમે તમારા માતા પિતાથી દૂર રહેતા હોવ તો તમારે તેમને મનોમન દરરોજ પ્રણામ કરવા જોઇએ. તેમનો ફોટો તમારા પર્સમાં કે પાસે રાખવો જોઇએ. આમ કરવાથી શનિદેવ વક્રદૃષ્ટિથી બચી શકાય છે.
શમી વૃક્ષની પૂજા
જો તમારે શનિની સાડાસાતી ચાલી રહી છે તો તમે પોતાની જાતને પરેશાનીઓમાં ફસાયેલા જોશો. ત્યારે તમારે શમી વૃક્ષના મૂળને કાળા કપડામાં બાંધીને તમારા જમણા હાથમાં બાંધી લેવું. ત્યારબાદ ।। ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનિશ્ચરાય નમઃ ।। મંત્રની 3 માળા કરવી જોઇએ. શમીના વૃક્ષની નિયમતિ પૂજા કરવી જોઇએ. તેનાથી આપને શનિદેવની કૃપાપ્રાપ્તિ તો થશે જ. સાથે ઘરનો વાસ્તુદોષ પણ દૂર થશે.
પીપળાના વૃક્ષની પૂજા
શનિદેવના દુષ્પ્રભાવથી બચવા જળમાં ગોળ કે સાકર મિશ્રિત કરીને તે જળ શનિવારના દિવસે પીપળાના વૃક્ષમાં અર્પણ કરવું. પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રજવલિત કરવો. તેનાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
શિવ ઉપાસના
શનિ સાથે જોડાયેલ દોષો દૂર કરવા કે પછી તેમની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવની ઉપાસના એક સિદ્ધ ઉપાય છે. નિયમપૂર્વક શિવ સહસ્ત્રનામ કે શિવ પંચાક્ષર મંત્રનો પાઠ કરવાથી શનિદેવના પ્રકોપનો ભય જતો રહે છે અને દરેક બાધાઓ દૂર થઇ જાય છે. આ ઉપાયથી શનિ દ્વારા મળનાર નકારાત્મક પરિણામ દૂર થાય છે.
હનુમાનજીની ઉપાસના
શનિ સાથે જોડાયેલ દોષો દૂર કરવા ભગવાન શિવના અંશાવતાર બજરંગબલીની સાધના કરવાથી પણ મુક્તિ મળે છે. કુંડળીમાં શનિ સાથે જોડાયેલ દોષો દૂર કરવા નિત્ય સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. તેમજ હનુમાન મંદિરમાં જઇને તમારી ક્ષમતા અનુસાર મીઠાઈ પ્રસાદ રૂપે અર્પણ કરવી.
શનિદેવની વિશેષ પૂજા
શનિવારના દિવસે શનિદેવને જાંબલી રંગના અપરાજીતાના પુષ્પ અર્પણ કરવા. શનિવારે કાળા દોરાની વાટ બનાવી, તલના તેલનો દીવો પ્રજવલિત કરવો. સાથે જ શનિવારે દશરથ રાજા દ્વારા લખાયેલ શનિ સ્તોત્રનો પાઠ કરવો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)