તમારા આર્થિક સંકટને દૂર કરી દેશે બુદ્ધ પૂર્ણિમાનો આ ઉપાય ! આજે ભૂલ્યા વગર કરી લો આ કામ
એક માન્યતા અનુસાર બુદ્ધ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં માતા લક્ષ્મીનું (goddess lakshmi) આગમન થાય છે. એટલે, આજે સવારે સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. તેમાં જળનું સિંચન કરીને કોઈ મીઠી વસ્તુ ત્યાં અર્પણ કરવી જોઈએ.
વૈશાખ સુદ પૂનમના દિવસને બુદ્ધ પૂર્ણિમાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે તે જ શુભ અવસર છે કે જે દિવસે ભગવાન વિષ્ણુના બુદ્ધ અવતારનું આ ધરતી પર પ્રાગટ્ય થયું હતું. તો, આ દિવસે શ્રીહરિના પૂજનનું, પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને પોતાના સામર્થ્ય અનુસાર દાન કરવાનું સવિશેષ મહત્વ રહેલું છે.
તો, સાથે જ આ દિવસ દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ સર્વોત્તમ મનાય છે. આ દિવસે કેટલાંક સરળ ઉપાય અજમાવીને તમે દેવી લક્ષ્મીની કૃપા તો મેળવી જ શકો છો, સાથે જ આર્થિક સંકટોનું નિવારણ પણ મેળવી શકો છો. બુદ્ધ પૂર્ણિમાના આ ઉપાય ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરનારા છે. ત્યારે આવો, આજે તે જ ઉપાયો સંદર્ભે વાત કરીએ.
પૂજાનું શુભ મુહૂર્ત
આજે બુદ્ધ પૂર્ણિમાએ જ ચંદ્રગ્રહણ તેમજ સિદ્ધ યોગની સાથે ભદ્રાકાળ છે. સિદ્ધિ યોગ સૂર્યોદયથી શરૂ થઈ સવારે 9:17 સુધી રહેશે. સ્વાતિ નક્ષત્ર રાત્રિના 9:40 સુધી રહેશે. ભદ્રાકાળ પ્રાતઃ 5:38 થી સવારે 11:27 સુધી રહેશે. ચંદ્રગ્રહણ રાત્રે 8:45 થી શરૂ થઈ મધ્યરાત્રિએ 1:00 વાગ્યા સુધી રહેશે. અલબત્, ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેમજ તેને પાળવાનું પણ નથી. એટલે તેનો સૂતકકાળ પણ નહીં લાગે. આ સંજોગોમાં પૂજાનું શુભ મુહૂર્ત સવારે 11:51 થી બપોરે 12:45 સુધી અત્યંત શુભ રહેશે.
માતા લક્ષ્મીની પૂજા વિધિ
બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા જેટલો જ માતા લક્ષ્મીની પૂજાનો પણ મહિમા છે. ત્યારે આજે માતા લક્ષ્મીની મૂર્તિ પર 11 કોડીઓ અર્પણ કરવી. તેમજ તેમને હળદરનું તિલક કરવું. બીજા દિવસે આ કોડીઓને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને આપના ઘરની ધન રાખવાની જગ્યા પર મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયને લીધે આપને ક્યારેય ઘરમાં આર્થિક સંકટનો સામનો નહીં કરવો પડે. ધીમે ધીમે આપની આર્થિક પ્રગતિ પણ થવા લાગશે.
પીપળાના વૃક્ષની પૂજા
એક માન્યતા અનુસાર બુદ્ધ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. એટલે, આજે સવારે સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. તેમાં જળનું સિંચન કરીને કોઈ મીઠી વસ્તુ ત્યાં અર્પણ કરવી જોઈએ. કહે છે કે આ ઉપાયથી માતા લક્ષ્મી સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે.
ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરો
પૂનમના અવસરે ચંદ્ર પૂજાનો સવિશેષ મહિમા રહેલો છે. આજે છાયા ચંદ્રગ્રહણ છે. પણ, તે ભારતમાં દેખાવાનું નથી તેમજ તેને પાળવાનું પણ નથી. એટલે આજે તમારે ચંદ્રની પૂજા જરૂરથી કરવી જોઈએ. કાચા દૂધમાં ખાંડ અને ભાત મિશ્રિત કરો. ત્યારબાદ ચંદ્રોદય સમયે “ૐ સ્રાં સ્રીં સ્રૌં સઃ ચન્દ્રમાસે નમઃ” અથવા તો “ૐ એં ક્લીં સોમાય નમ:” મંત્રનો જાપ કરતા કરતા તે અર્ઘ્ય ચંદ્રદેવતાને અર્પિત કરો. માન્યતા અનુસાર તેનાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
લગ્ન જીવનમાં મધુરતા અર્થે
પ્રચલિત માન્યતા અનુસાર લગ્ન જીવનમાં ખુશીઓ લાવવા માટે અર્ઘ્યની ઉપરોક્ત રીતે ચોક્કસપણે ફળદાયી સાબિત થઈ શકે છે. કહે છે કે પૂર્ણિમાના દિવસે પતિ-પત્ની બંન્નેવે એકસાથે ચંદ્રદેવતાને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. જો બંન્ને તેમ કરી શકે તેમ ન હોય તો કોઈ એકે તો જરૂરથી ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવું જ જોઈએ. માન્યતા અનુસાર તેનાથી દાંપત્ય જીવનમાં ખુશીઓનું આગમન થાય છે અને દંપતીનું લગ્ન જીવન મધુર બને છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)