Somvati Amas Shani Jayanti : શિવપૂજાથી પ્રસન્ન થશે શનિદેવ, સરળ ઉપાયથી શનિ જયંતીએ મેળવો વિવિધ દોષોનું નિવારણ !
શનિ જયંતીએ સોમવતી અમાસનો (Somvati amas) પણ મહાસંયોગ થયો છે, ત્યારે શનિદેવની સાથે ભગવાન શિવની પૂજા કરવી પણ અત્યંત ફળદાયી બની રહેશે. તો સાથે જ આ સંયોગ કાલસર્પ દોષ અને ચંદ્રદોષ નિવારણ અર્થે પણ લાભદાયી મનાય છે.
વૈશાખ માસની અમાસની (Amas) તિથિ શનિ જયંતી (Shani jayanti) તરીકે ઓળખાય છે. આ વખતે આ તિથિ 30 મે, સોમવારના રોજ છે. એટલે કે શનિ જયંતી અને સોમવતી અમાસનો (Somvati amas) શુભ સંયોગ સર્જાયો છે. આ સંયોગ વ્યક્તિને શનિદોષથી (Shanidosh) તો મુક્તિની પ્રાપ્તિ કરાવનારો મનાય જ છે. સાથે જ પિતૃદોષના નિવારણ અને કાલસર્પ દોષથી મુક્તિ અર્થે પણ ફળદાયી મનાય છે. ત્યારે આવો, આ દિવસે કયા ઉપાયો કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થશે, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
શનિદોષમાંથી મુક્તિ
આ શુભ સંયોગ શનિદોષથી મુક્તિ માટે શ્રેષ્ઠ મનાય છે. ત્યારે, શનિદોષના નિવારણ અર્થે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. સાથે જ નીચે જણાવેલ મંત્રોમાંથી કોઈ એકનો 108 વખત જાપ કરવો જોઇએ.
⦁ ફળદાયી મંત્ર
।। ૐ પ્રાં પ્રીં પ્રોં સઃ ।।
।। ૐ શનૈશ્ચરાય નમઃ ।।
।। ૐ શં શનૈશ્ચરાય નમઃ ।।
શિવજીની પૂજા
શનિ જયંતીએ સોમવતી અમાસનો પણ મહાસંયોગ થયો છે, ત્યારે શનિદેવની સાથે ભગવાન શિવની પૂજા કરવી પણ અત્યંત ફળદાયી બની રહેશે. શનિદોષથી પીડિત વ્યક્તિઓએ આ દિવસે શનિદેવ અને શિવજી બંન્નેની આરાધના કરવી જોઈએ. જેથી તેમને બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થાય. તાંબાના કળશમાં જળ ભરીને તેમાં કાળા તલ મિશ્રીત કરવા અને પછી ।। ૐ નમઃ શિવાય ।। મંત્રનો જાપ કરતા તે જળ શિવલિંગ પર અર્પણ કરવું.
દાનથી પુણ્ય !
સોમવતી અમાસના દિવસે અન્નદાન કરવું મહાપુણ્યદાયી બની રહેશે. તો, શનિ જયંતી પણ હોઈ આ દિવસે શનિદેવ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઇએ. તમે તમારી યથાશક્તિ પ્રમાણે ચોખા, અડદની દાળ, કાળા રંગના વસ્ત્ર, કાળા ચણા, કાળા તલ અને મીઠાનું (નમક) દાન કરી શકો છો.
પિતૃઓની તૃપ્તિ
જે વ્યક્તિના માતા પિતા દેહત્યાગ કરીને પરલોકમાં જતા રહ્યા છે, તેમણે સોમવતી અમાસના દિવસે પિતૃઓનું ધ્યાન ધરવું જોઇએ. તેની સાથે જળમાં તલ ઉમેરીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને તલ અને જળ વડે પોતાના પિતૃઓનું તર્પણ કરવું જોઇએ. આ કર્મથી પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થઇ શકે છે.
કાલસર્પ દોષ મુક્તિ !
જો કોઇ જાતકની કુંડળીમાં કાલસર્પ દોષ જોવા મળે તો તેમણે અમાસની તિથિના દિવસે તે સંબંધી મંત્રજાપ કરવા જોઈએ. સોમવતી અમાસનો દિવસ તે માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે.
ચંદ્રદોષ નિવારણ !
જેમની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમણે સોમવતી અમાસના દિવસે ગાયને દહીં અને ચોખા (ભાત) ખવડાવવા જોઇએ. તેનાથી કુંડળીમાં રહેલ ચંદ્રદોષની અસર ઓછી થાય છે. નિત્ય આ કાર્ય કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)