આજથી આસો માસની એટલે કે શારદીય નવરાત્રીનો (Navratri 2022) પ્રારંભ થયો છે. ત્યારે કોરોનાનું ગ્રહણ ઓછું થતા રાજ્યભરના માઇ મંદિરોમાં નવરાત્રીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા. રાજ્યના તમામ મોટા મંદિરો જેવા કે અંબાજી,(Ambaji) બહુચરાજી (Bahuchraji), પાવાગઢ (Pavagadh)અને જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી મંદિર ઉપર ભક્તજનોએ મોટી માત્રામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા.
સૌથી પહેલા વાત કરીએ તો અંબાજી અને બહુચરાજીમાં નવરાત્રીના (Navratri 2022) પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરી નોરતાનો પ્રારંભ થયો છે અને સાંજે ચાચર ચોકમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવશે. ચાચર ચોકમાં તો પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢમાં પણ પ્રથમ દિવસે એક લાખથી વધુ માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી હતી. જ્યારે કચ્છમાં માતાના મઢે પણ નવરાત્રીને લઈ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું તો જૂનાગઢમાં આવેલા ગિરનારની ટોચ પર જગત જનની મા અંબાના સાનિધ્યમાં આસો નવરાત્રીના પ્રારંભે પૂજા અને આરતી કરવામાં આવે છે. પ્રથમ નોરતાની વહેલી સવારે ઘટસ્થાપન સાથે માતાજીની પૂજા અર્ચના અને આરતીમાં ભાવિકોએ પણ ભાગ લીધો હતો.
સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા જગદંબાના દર્શન માટે કતારો લગાવી હતી, આજે અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટસ્થાપન કરાયું. મંદિરના પૂજારીના હસ્તે વૈદિકવિધિ મુજબ ઘટસ્થાપન કરીને જવારા વાવવામાં આવ્યા હતા. તેમજ ઢોલના ઢબકારે માતાજીની માંડવડીઓને ચાચરચોકમાં લાવવામાં આવી. અંબાજીમાં બે વર્ષ બાદ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જેને પગલે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
યાત્રાધામ પાવાગઢમાં પણ પ્રથમ નોરતાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પ્રથમ દિવસે જ એક લાખથી વધુ ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢમાં ધ્વજારોહણ કર્યા બાદ સતત ભક્તોની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ ભક્તોના ધસારાને લઇ મંદિર ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે. કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જ્યારે પ્રવાસ દરમિયાન ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે ST વિભાગે પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા વધારાની 40થી વધુ બસો મુકી છે. મહત્વનું છે કે ભક્તોના ધસારાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. પ્રથમ નોરતાથી મંદિરના દ્વાર સવારે 5 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેમજ પાંચમ, આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
મહેસાણાના શક્તિપીઠ બહુચરાજીમાં પણ બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી હતી અને સ્થાપના કરી તો બીજી તરફ નવરાત્રીના પ્રથમ દિવસે માઇ ભક્તો મોટી સંખ્યામાં બહુચરાજી પહોંચ્યાં હતા અને વહેલી સવારથી જ મંદિરમાં માના દર્શન માટે ભક્તોની લાઇન લાગી હતી. તો નવરાત્રીના નવ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સુરતમાં પણ શક્તિના પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. શહેરના અંબિકા નીકેતન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિરોમાં પ્રથમ દિવસે શૈલપુત્રીની આરાધના સાથે નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો
Published On - 7:55 pm, Mon, 26 September 22